રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે કમિશનર જમીન ખાલી કરાવવા અને વાંધાવચકાવાળી જમીનોના હવાલા લેતા હોવાના લેટરબોમ્બ બાદ હવે રોજ નવા નવા આક્ષેપો પોલીસ કમિશનર સામે લાગી રહ્યાં છે. ત્યારે આજે 32 કરોડની જમીન કૌભાંડમાં જો પોલીસ ગુનો દાખલ નહીં કરે તો પાંભર પરિવારે સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

અરજી કરતા કંચનબેન પાંભરે ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજકોટ પોલીસના એસીપી દિયોરા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.વી. ધોળા, કોન્સ્ટેબલ અરજણ ઓડેદરા, મનસુખ વસોયા, પૂર્વ ભાજપ પ્રમુખ સ્વ. ભીખા વસોયાના પુત્ર જયદિપ વસોયા, દિપેશ વસોયા, તથા પિન્ટુ પણસારા, જયેશ પાંભર, મિલન પાંભર પરેશ સરધારા સામે 32 કરોડની જમીન કૌભાંડમાં ગુનો દાખલ કરવા પુરાવા સાથે રજૂઆતો કરવા છતા કાર્યવાહી કરાઈ નથી. તેમજ આ અંગે ડીજીપી દ્વારા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પત્ર પણ પાઠવ્યો હતો છતા પણ પોલીસ કમિશનરે તાલુકા પોલીસ સ્ટેશનની આ 32 કરોડની જમીન કૌભાંડમાં જવાબદારો સામે કાર્યવાહી કરી નથી.

આ સમગ્ર કૌભાંડની વિગતો તેમજ સહીઓ સાથે વડાપ્રધાન, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતનાઓના કંચનબેને પુરાવા સાથે લેખિત રજૂઆત કરી છે. તેમજ તેણીએ જણાવ્યું છે કે, બે વર્ષથી કુટુંબનો માળો વેરવિખેર થઈ ગયો છે. બાળકો બીજાના ઘરે રહેવા માટે મજબુર બન્યાં છે. હવે અમારાથી આ ત્રાસ સહન થતો નથી. જો ન્યાય નહીં મળે અને ગુનો દાખલ નહીં થાયતો સમગ્ર પાંભર પરિવાર સામુહિત આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

