રાજ્ય સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં નાઈટ કર્ફ્યુ, લગ્નપ્રસંગોમાં મહેમાનોની સંખ્યા તથા ઓફલાઈન શિક્ષણ સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. જેમાં વસંતપંચમીના દિવસે વ્યાપક પ્રમાણમાં લગ્નસમારોહ હોય મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે લગ્નપ્રસંગોમાં 300 લોકોની છુટ અપાઈ છે. તો 8 મહાનગરો સહિત 27 શહેરોમાં તા. 11 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યુ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી અમલવારીના નિર્ણયને યથાવત્ત રાખ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. તેમજ કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જે નિર્ણયો તા. 4 ફેબ્રુઆરીથી તા. 11 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. આ નિર્ણયમાં રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. ઉપરાંત બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે.

જ્યારે હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર સહિત 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેને લંબાવીને તા. 11 સુધી કરવામાં આવ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તા. 4 ફેબ્રુઆરી, 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફયુની હાલની જે સમયાવધિ તા. 4-2-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા. 11 ફેબ્રુઆરી, 2022 સુધીની કરવામાં આવી છે.

