વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડનોમે કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટેડ્રોસે એવું કહ્યું કે,ઓમીક્રોનને કોરોના વાયરસનો અંતિમ વેરિયંટ સમજવો એ જોખમ ભર્યું છે. ખતરનાક સાબિત થઈ શકે છે. UN હેલ્થ એજન્સી એક્ઝિક્યુટિવ બોર્ડ મિટિંગમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, જો આ મહામારીથી છૂટકારો મેળવવો હોય અને બચવું હોય તો મોટા પાયે સુરક્ષાલક્ષી ઉપાય કરવામાં આવે. સામુહિક પ્રયત્નોથી આ વર્ષે કોરોનાની વેવ ખતમ કરી શકાય છે.
ભવિષ્યમાં આ પ્રકારના હાલાતને રોકી શકાય છે. આ માટે અત્યારે મહામારીમાંથી ઘણા પાઠ શીખવાની જરૂર છે અને સમાધાન શોધવાની પૂરી જરૂર છે. આ માટે મહામારી ખતમ થાય એની રાહ જોઈ શકાય એમ નથી. ગત અઠવાડિયે સામે આવેલા આંકાડ પર ધ્યાન દેવામાં આવે તો ત્રણ સેકન્ડમાં 100 લોકો કોરોના વાયરસથી સંક્રમીત થાય છે. આ વાયરસથી દર 12 સેકન્ડમાં એક વ્યક્તિનું મોત નીપજે છે. વર્ષ 2019માં કોરોના વાયરસને પહેલો કેસ સામે આવ્યા બાદ હજુ સુધી કોરોના વાયરસના દુનિયાભરમાંથી 56 લાખથી વધારે લોકોના નિધન થયા છે. સંસ્થા ઘણા મહિનાઓથી એવી માગ કરી રહી છે કે, ગરીબ દેશમાં ઝડપથી વેક્સીનેશન કરવામાં આવે. તમામ દેશ જૂન 2022 સુધી પોતાની વસ્તીમાં 70 ટકા વેક્સીનેશન પૂર્ણ કરી લે. આ માટે સંસ્થાએ દરેક દેશને એક ખાસ અપીલ કરી છે. 194 દેશ WHOના સભ્ય છે. જેમાંથી અડધા દેશે વર્ષ 2021 સુધીમાં પોતાની વસ્તીમાં 40 ટકા વસ્તીને વેક્સીન આપી દીધી છે. આ દરમિયાન આફ્રિકામાં 85 લોકોને વેક્સીનનો પહેલો ડોઝ મળ્યો જ ન હતો. દુનિયાના લોકોએ કોવિડ સાથે રહેતા શીખી જવું પડશે. ઓમીક્રોન ડેલ્ટાની તુલનામાં ઓછો ઘાતક છે. પણ વિસ્ફોટ થાય એ રીતે કેસ વધી રહ્યા છે. મહામારીનો આ અંતિમ તબક્કો છે એવું અત્યારે માની શકાય એમ નથી. દુનિયાના બીજા દેશમાંથી પણ ઓમીક્રોનના કેસ વધી રહ્યા છે. જે વધારે ઘાતક પુરવાર થઈ શકે છે.
ભારતમાં ઓમીક્રોન વેવના જોખમ વચ્ચે વધુ એક વેરિયંટનું જોખમ તોળાઈ રહ્યું છે. સ્થિતિ ગંભીર છે. નવા વેરિયંટને BA 2 નામ આપવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના મહાનગર ઈન્દોરમાં નવા સ્ટ્રેનના 16 દર્દીઓ મળી આવ્યા છે. જેમાં છ બાળકો પણ સામિલ છે. દેશભરમાંથી આ માટે 530 સેમ્પલ લેવામાં આવ્યા છે જેની ઊંડી તપાસ કરાશે. UK, ડેન્માર્ક અને ઓસ્ટ્રેલિયામાં પણ આ નવા વેરિયંટના કેસ સામે આવ્યા છે. આ વેરિયંટ ઓમીક્રોનની જેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આમાં એની ઓળખ ન થાય તો સંક્રમણને રોકવું મોટો પડકાર બની જાય છે. ચિંતાની વાત તો એ છે કે, ટેસ્ટ કિટમાં પણ આ નવો વેરિયંટ પકડાતો નથી. એટલે જ આને સ્ટેલ્થ વર્ઝન કહી શકાય છે. બ્રિટન, સ્વિડન તથા સિંગાપોરમાંથી કેસ મળ્યા છે. ભારતના દૃષ્ટિકોણથી બીજી ચિંતા એ છે કે ગયા અઠવાડિયે એટલે કે 17 થી 23 જાન્યુઆરીની વચ્ચે દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. વાયરસને કારણે 2,680 મૃત્યુ થયા હતા, જે તેના પ્રથમ સપ્તાહમાં થયેલા 1,396 મૃત્યુ કરતાં 92% વધુ છે.

