કોરોના વાયરસને કારણે છેલ્લા બે વર્ષથી લોકો આરોગ્ય અને દવાના ક્ષેત્રને વધુ જાણતા થઈ ગયા છે. ઘણા પરિવારમાં એવા લોકો છે જેને સામાન્ય બીમારીની દવાના નામ મોઢે થઈ ગયા છે. જોકે, કોરોના બાદ દવાઓની બજાર અને ટર્નઓવર અનેકગણુ વધ્યું છે. લોકો આરોગ્ય તરફ સજાગ થતા દવા અને હેલ્થ ક્ષેત્રમાં નોકરીની વધુ તક હોવાનું માનીને એ ક્ષેત્રે ઝંપલાવે છે. જેમાં દવાની કંપની ખોલીને ઉત્પાદન કરનારા ઉદ્યોગ સાહસિકથી લઈને ફાર્માસિસ્ટનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર નવી 532 ફાર્મા ફેક્ટરીઓને મંજૂરી અપાઈ ગઈ છે. જ્યારે મેડિકલ સ્ટોર માટે 9099 લાયસન્સ આપવામાં આવ્યા છે. જ્યારે વર્ષ 2018-19માં એલોપથી દવાઓ બનાવતા યુનિટની સંખ્યા 3249 હતી. નવા 365 અરજીઓ આ ક્ષેત્રે નવા યુનિટ શરૂ કરવા માટે આવી છે. જેને મંજૂરી આપી દેવામાં આવી છે. વર્ષ 2019-20માં 454 નવી અરજીઓ આવી હતી જેને મંજૂરી અપાઈ ચૂકી છે. નવા ઉદ્યોગ શરૂ થતા યુનિટની કુલ સંખ્યા 3349 સુધી પહોંચી છે. આ નાણાકીય વર્ષ બાદ લોકડાઉન લાગુ થયું હતું. પ્રથમ વેવના અંતે અને બીજા વેવની શરૂઆત પહેલા નવા વર્ષે નવા યુનિટ શરૂ કરવા માટે 532 અરજી આવી હતી જેને મંજૂરી અપાઈ હતી. ઉત્પાદન યુનિટની સંખ્યા વધીને 3638 થઈ છે. આ સાથે નવા 289 એકમ પણ શરૂ થયા છે. જે સંખ્યા અગાઉના વર્ષ કરતા ઘણી વધારે છે. સેલ્સ માટેના લાયસન્સમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. વર્ષ 2018-19માં નવા 6239 સેલ્સ લાયસન્સ મંજૂર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે 2020માં આ સંખ્યા 6985 થઈ છે. જ્યારે લાયસન્સની સંખ્યા જે 88133 હતી એ 99752 થઈ છે.

આ સંખ્યા તા.31 માર્ચ સુધી પૂરા થતા આંકની છે. તા.1 એપ્રિલથી 22 સપ્ટેમ્બર સુધી આવેલી અરજી તથા યુનિટની ગણતરી કરવામાં આવે તો આ જ ગાળામાં 4705 લાયન્સને લીલી ઝંડી આપવામાં આવી છે. જ્યારે 2000થી વધારે મેડિકલ સ્ટોર ખુલી ચૂક્યા છે. જ્યારે લોકડાઉન લાગુ પડ્યું ત્યારે જીવનજરૂરી વસ્તુઓની દુકાન ખુલ્લી રાખવા માટે મંજૂરી હતી. મેડિકલ સ્ટોરની દુકાન 24 કલાક સુધી ખુલ્લી રાખવા માટે મંજૂરી અપાઈ હતી. જેથી ઘણા વેપારીઓ આ ક્ષેત્ર તરફ આકર્ષાયા છે. રાજકોટ આસિ. કમિશનર એસ.એસ. વ્યાસ કહે છે કે, આ ક્ષેત્રે યુવાનો એક તક જોઈ રહ્યા છે. જેના કારણે દવાના ટર્ન ઓવર તથા ઉત્પાદન બંને ક્ષેત્રે એક મોટો વધારો જોવા મળી રહ્યો છે.

