ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા માણતા કેટલાય પતંગ રસીયાઓએ મૂંગા પંખીઓનો જીવ લીધો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં પંખીઓ મોતને ભેટ્યા છે, કોઈ દોરી લાગવાને કારણે તો કોઈના પગ દોરીમાં ફસાઈ જવાને કારણે શિકાર થયા છે. કેટલાક ઉડી ન શકે એવી સ્થિતિમાં આવી ગયા છે. જોકે, ઉત્તરાયણનો દિવસ મોટાભાગના લોકો માટે આનંદ અને ઉલ્લાસનો રહ્યો પણ જીવદયા પ્રેમીઓ માટે દુઃખનો દિવસ બની રહ્યો છે.
મહાનગર સુરતમાં તાપી નદીના કિનારે એક સાથે મોટી સંખ્યામાં મૃત પંખીઓની અંતિમક્રિયા કરવામાં આવી હતી. જે ચિત્ર સામે આવતા હચમચી જવાય એમ છે. પંખીઓની અંતિમયાત્રા કરવામાં આવી હતી. આ સાખે દુઃખ વ્યક્ત કરતા તમામ લોકોને આવી રીતે પતંગ ન ચગાવવા માટે અપીલ કરવામાં આવી છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગના દોરાથી કપાઈને મોત થયા હોય એવા કબુતર તથા કાગડાની જીવદયા પ્રેમીઓએ અંતિમવિધિ કરી હતી. આ ઉપરાંત મૃતક પંખીઓને શ્રદ્ધાંજલી પણ પાઠવી હતી. ત્રણ દિવસ દરમિયાન સુરત શહેરના કેટલાક વિસ્તારમાં મોતને ભેટેલા પંખીઓ ભેગા કરવામાં આવ્યા હતા. મોટાભાગના પંખીઓ દોરીને કારણે થયા હતા. તો કેટલાક પંખી વાયર પર લટકતા જોવા મળ્યા હતા. આવા તમામ પંખીઓને ઊતારી એકત્રીત કરાયા અને અંતિમ વિધિ કરવામાં આવી હતી. ઉત્તરાયણ પહેલા જ ઘણી સંસ્થાઓ તરફથી જનજાગૃતિના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા હતા. પણ લોકોમાં જાગૃતિના અભાવે મોટી સંખ્યામાં પંખીઓના મોત થયા હતા.
આ અંગે ભાનુ મકવાણાએ કહ્યું હતું કે, જાનકી જીવદયા ટ્રસ્ટ વર્ષ 2004થી કામ કરે છે. આ સંસ્થા તરફથી શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને પણ સમજાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાના બદલે ગાયને ચારો નાંખી તથા દાન કરીને ઉત્તરાયણ મનાવવી જોઈએ. જોકે, આ સાથે માતા પિતાએ પણ પોતાના બાળકોને આવી સમજ આપવી જરૂરી બને છે. જોકે, ઉત્તરાયણનું પર્વ પંખીઓ માટે તો મોતનો દિવસ સાબિત થયો હતો. ન માત્ર સુરતમાંથી પણ રાજકોટ શહેરમાંથી પણ ઘણા મૂંગા પંખીઓ મોતને ભેટ્યા હતા.

