પશ્ચિમ બંગાળના મૈનાગુડીમાં મોટી ટ્રેન દુર્ઘટનાની થઈ છે. જાણકારી અનુસાર, પટનાથી ગુવાહાટી જનારી બિકાનેર એક્સપ્રેસ, મૈનાગુડીમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 12 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને મૃત્યુની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તાર નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયરમાં આવે છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ તરત ઘટના સ્થળ પર રેલ અધિકારી પહોંચી રહ્યા છે.

સ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે. ટ્રેન દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. લોકો હજુ પણ ડબ્બામાં ફસાયેલા છે અને લોકોને બચાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી મળેલી જાણકારી મુજબ 3 લોકોના મોત થયા છે. ગુવાહાટી-બિકાનેર એક્સપ્રેસની ટ્રેન નંબર 15633 છે. તે આશરે પાંચ વાગ્યે દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. દુર્ઘટના મૈનાગુડી પહેલા દોમોહાનીની પાસે થઈ છે. ટ્રેન બિકાનેરથી ગુવાહાટી બાજુ જઈ રહી હતી. અલીપુરદ્વાર DRM દિલીપ કુમાર સિંહે જણાવ્યું, પ્રાથમિક સ્તર પર જાણકારી મળી છે. અમે ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છીએ. લોકોની પ્રાથમિકતા ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની છે. 12 કોચ ડીરેલ થવાની સૂચના છે. રાહત માટે અલગ-અલગ ટીમ લોકેશન પર પહોંચી ગઈ છે. ટ્રેનમાં સવાર એક વ્યક્તિએ જણાવ્યું કે, અચાનક ટ્રેનમાં ઝટકો લાગ્યો અને ડબ્બા પલ્ટી મારી ગયા. તેમણે જણાવ્યું કે, બે ડબ્બા ખરાબ રીતે દુર્ઘટનાગ્રસ્ત થયા છે. જે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા છે, તે સાધારણ ડબ્બા હતા કે પછી રિઝર્વેશન કોચ હતા. એ નક્કી થયું નથી.

રેલવે તરફથી રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી ખબર પડી શકે કે આમાં કોઈ પેસેન્જર અંદર હતા. સ્થળ પર લાઈટની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે અંધારું થઈ રહ્યું છે. હોસ્પિટલોને તૈયાર રહેવા કહેવાયું છે. સરકારી હોસ્પિટલોમાં પણ ડોક્ટરોની ટીમ તૈયાર કરી દેવાઈ છે. PM નરેન્દ્ર મોદીની સાથે CM મમતા બેનર્જીની વર્ચ્યુઅલ મીટિંગ ચાલી રહી હતી, તે જ સમયે આ દુર્ઘટનાની જાણકારી મળી હતી. CM મમતા બેનર્જીએ ઉત્તર બંગાળના અધિકારીઓ સાથે આ ઘટના અંગે વાતચીત કરી છે અને દુર્ઘટના સ્થળ પર તુરંત જવા આદેશ આપ્યો છે. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ થઈ ગયું છે.

