રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. 1 ડિસેમ્બરથી લઈને અત્યારસુધીમાં રાજ્યમાં 1100 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. જેમાં અડધાથી પણ વધારે કેસો માત્ર સુરતમાં જ નોંધાયા છે. જો કે આ તમામની વચ્ચે રાહતના સમાચાર એ મળી રહ્યાં છે કે કોઈપણ છાત્ર ક્રિટીકલ નથી અને છાત્રોને હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા નથી.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. ત્રીજી લહેરમાં સૌથી વધારે નાના બાળકોમાં સંક્રમણ વધવાની દહેશત ફેલાઈ રહી છે. અનેક સ્થળોએ શાળામાં ભણતા છાત્રોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક અને હાઈસ્કુલ એટલે કે ધો. 9 સુધીના વર્ગો બંધ કરી દીધા છે. 1 ડિસેમ્બર 2021થી લઈને અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 1100 જેટલા છાત્રો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. તે પૈકી માત્ર સુરતમાં જ 532 છાત્રો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.

તો બીજા નંબરે રાજકોટમાં અત્યારસુધીમાં 80 જેટલા છાત્રોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યારબાદ ગાંધીનગરમાં 50 છાત્રો કોરોનાની ઝપટે આવ્યાં છે. તો સૌથી ઓછા કેસ વડોદરામાં નોંધાયા છે. વડોદરામાં 20 જેટલા જ વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે. આ આંકડા ડીઈઓ કચેરી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયા છે. તો બીજી તરફ રાહતના સમાચાર એ મળી રહ્યાં છે કે, રાજ્યમાં એકપણ છાત્રની સ્થિતિ ગંભીર નથી અને છાત્રને કોરોના બાદ હોસ્પિટલમાં દાખલ કરાયો નથી. સંક્રમિત વિદ્યાર્થીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યાં છે અને તમામને હોમ આઈસોલેશનમાં રખાયા છે.

