સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસને કેસે ફરી ચિંતા વધારી દીધી છે. રાજકોટમાં એક દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા વધી જતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયો છે. શહેરમાં ટેસ્ટિંગ માટેના ડોમ શરૂ કરાયા છે. એવામાં રાજકોટ ક્લેક્ટરે IMAના તબીબો સાથે એક ખાસ બેઠક કરીને પરિસ્થિતિ અંગે મોટી ચર્ચા કરી છે. IMA પ્રમુખ ડૉ. પ્રફુલ્લ કમાણીએ મીડિયા સાથેની એક વાતચીતમાં એવું એલર્ટ આપ્યું છે કે, હાલ રાજકોટની મોટાભાગની સ્કૂલમાં 40 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે. સરકારે સ્કૂલ બંધ કરવા કોઈ ગાઈડલાઈન્સ આપી નથી.
એવામાં હવે વાલીઓએ ચેતવા જેવું છે. વધી રહેલા કેસ વચ્ચે સ્કૂલના સંચાલકો પણ ગંભીરતા દાખવે. હાલ સ્કૂલમાં ઓફલાઈન ક્લાસ ચાલું છે. પણ અત્યારે સ્થિતિ ઘણી ગંભીર રહી છે. રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ત્રીજી વેવ શરૂ થઈ ગઈ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. આ વાતના ભણકારા અમને ગત અઠવાડિયે જ લાગી ગયા. એટલે આગળ શું વ્યવસ્થા કરવી પડશે એ માટે ખાસ ક્લેકટર સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ક્લેક્ટરે દરેક નાની નાની બાબતનું ધ્યાન દોર્યું છે. જેમ કે, કેટલું ટેસ્ટિંગ થાય છે અને કેટલું વધારી શકાય છે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને અલગથી સારવાર અને શહેરી વિસ્તારના દર્દીઓને અલગથી સારવાર મળે. દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવા તથા સારવાર મળી રહે. ડૉક્ટર ટીમની સતત હાજરી રહે. બીજી વેવ વખતે જે ઑક્સિજનની અછત ઊભી થઈ હતી. એવું ફરી ન થાય એ માટે ઑક્સિજન પ્લાન્ટ એક્ટિવ છે કે નહીં એની તપાસ, વધુ ઑક્સિજન કેવી રીતે અને ક્યાંથી મળે એ માટે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ જ રીતે કેસ વધતા રહ્યા તો બાળકો વધારે પ્રમાણમાં સંક્રમિત થશે. સરકારે એવી કોઈ ગાઈડલાઈન્સ જાહેર નથી કરી કે, સ્કૂલ બંધ રાખવી જોઈએ. પણ વાલીઓએ ખાસ ચેતીને ચાલવા જેવું છે.

શાળાના દરેક સંચાલકોએ પણ આ અંગે ખાસ નોંધ લેવી જોઈએ. ઘર બાળકો માટે સૌથી વધારે સુરક્ષિત છે. બાળકો બીમારીનો ભોગ બનશે તો અટકાવું કપરૂ થઈ જશે. એક સંજોગમાં અટકાવી પણ નહીં શકીએ.જોકે, રાજકોટમાં ઘણી બધી ખાનગી તથા સરકારી શાળામાં કેસ વધતા એ શાળા યુદ્ધના ધોરણે બંધ કરી દેવાઈ હતી. બીજી તરફ વિદ્યાર્થીઓની કસોટીઓ નજીક આવી રહી છે એવામાં સરકાર કોઈ યોગ્ય નિર્ણય લે એવી ચર્ચા રાજકોટની પ્રજા કરી રહી છે.

