કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આઈસીએમઆરએ મહત્વનો નિર્ણય લેતા ઓમિક્રોનની તપાસ કરનારી પ્રથમ સ્વદેશી કિટને મંજૂરી આપી છે. આ કિટને તાતા મેડિકલે તૈયાર કરી છે. આ કિટને Omisure નામ આપવામાં આવ્યું છે.
તાતા મેડિકલ, મુંબઈની કિટને મંજૂરી 30 ડિસેમ્બરે મળી ગઈ હતી. જોકે આ અંગેની માહિતી હવે જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી ઓમિક્રોનની તપાસ કરવા માટે યુએસની કિટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ મલ્ટિપ્લેક્સ કિટનું અમેરિકાની થર્મો ફિશર દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. આ કિટ એસ-જીન ટાર્ગેટ ફેલિયર (SGTF) સ્ટ્રેટેજીથી ઓમિક્રોન છે કે નહીં એ અંગેની તપાસ કરે છે. હવે તાતાની જે કિટને મંજૂરી આપવામાં આવી છે એનું નામ તાતા એમડી ચેક RT-PCR ઓમિશ્યોર છે.

ઓમીશ્યોર ટેસ્ટ કિટ અન્ય આરટી-પીસીઆર ટેસ્ટની જેમ જ કામ કરશે. આ કિટની મદદથી નાક અને મોઢામાંથી સ્વોબ લઈ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ 10-15 મિનિટમાં રિપોર્ટ આવી શકે છે. ભારતમાં કોરોનાના કેસ વળી પાછા રેકોર્ડ તોડવા લાગ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, બંગાળ, કર્ણાટક, તમિલનાડુમાં કોવિડ કેસોની સંખ્યામાં વધારાના કારણે આ ઉછાળો નોંધાયો છે.
દેશમાં ઓમિક્રોનનો ઝડપી ફેલાવો ચિંતાજનક સ્થિતિ ઊભી કરી રહ્યો છે. ઓમિક્રોન કોરોનાનો નવો વેરિયન્ટ છે. એને ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ જેટલો ઘાતક માનવમાં આવી રહ્યો નથી, જોકે એની સરખામણીએ એ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 1,892 થઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 568 અને 382 કેસ છે. ઓમિક્રોનના 1,892 દર્દીમાંથી 766 દર્દી સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 58,097 કેસ નોંધાયા છે. હાલ દેશમાં 2,14,004 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે એક દિવસમાં 15,389 દર્દીઓ રિકવર પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 534 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં કુલ 4,82,551 મૃત્યુ થયા છે. જ્યારે 3,43,21,803 દર્દીઓએ સાજા થવામાં સફળતા મેળવી છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 4.18% છે.

