દેશભરમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે જેના કારણે કેન્દ્ર સરકાર સાથે સાથે દિલ્હી રાજય સરકાર પણ અલગ અલગ આદેશ જાહેર કરી દીધા છે. અને ફરીવાર લોકડાઉન જેવા આકરા પગલાં તેમજ વર્ક ફ્રોમ હોમની કાર્યશેલી અપનાવી રહ્યા છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ આજે દિલ્હીમાં શનિ-રવિ પૂર્ણ રીતે કર્ફયુ લાદવાની જાહેરાત કરી છે અને લોકોને ઘરની બહાર નહીં નીકળવા તાકીદ કરી છે. ફક્ત આવશ્યક કાર્ય માટે બહાર નીકળી શકશે. સીસોદીયાએ જણાવ્યું કે દિલ્હીમાં 11 હજારથી વધુ એક્ટિવ કેસ છે.જેમા 350ને હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પડી છે. 125 લોકો ઓક્સિજન પર છે અને 7 લોકો વેન્ટિલેટર પર છે. આમ એકંદરે ઓમિક્રોનનો પ્રભાવ હોવા છતાં હોસ્પિટલાઈઝેશનની જરુર ઓછી છે તે એક સારી બાબત છે પરંતુ સરકાર કોઇપણ પ્રકારે ગફલતમાં રહેવા માગતી નથી.
આજે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ દિલ્હીમાં વિક એન્ડ કર્ફયુની જાહેરાત કરી છે અને જણાવ્યું હતું કે તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે.બાકીની કચેરીઓના કર્મચારીઓ ઘરેથી કામ કરશે. બીજી તરફ ખાનગી કચેરીઓમાં 50 ટકા હાજરીની મર્યાદા લાદી દેવામાં આવી છે. અને શનિ-રવિમાં લોકો પૂર્ણ રીતે ઘરમાં રહેશે. તેમણે એ પણ જણાવ્યું કે ગઇકાલે 4099 કેસ આવ્યા હતા અને પોઝીટીવીટી રેટ 6.49 ટકા જ છે.
સોમવારે કેન્દ્ર સરકારે કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. અન્ડર સેક્રેટરીના સ્તરથી નીચેના 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. કર્મચારી મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલા આદેશમાં આ વાત કહેવામાં આવી છે આદેશ મુજબ દિવ્યાંગ કામદારો અને સગર્ભા મહિલા કામદારોને ઓફિસ આવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જારી કરાયેલ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે 9 થી સાંજના 5:30 અને સવારે 10 થી સાંજના 6:30 સુધી અલગ અલગ ટાઈમ ટેબલ મુજબ ઓફિસે આવવાનું રહેશે જેથી ઓફિસોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તેવું કારણ આપવામાં આવ્યા છે.

