મોરબી જિલ્લામાં જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ દિન પ્રતિદિન હત્યાના કેસ વધ્યા છે જિલ્લામાં છેલ્લા 4 મહિનામાં જ 17 થી વધુ લોકોની હત્યા થઈ હતી.આ સિવાય જીવલેણ હુમલો, રાયોટિંગ, ચોરીના કેસમાં પણ મોટા પાયે ઉછાળો આવતા મોરબી જિલ્લો જાણે ક્રાઇમ નગરી બની રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ગુનાખોરીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. જિલ્લામાં એક વર્ષમાં 39 હત્યા ,18 રાયોટિંગ અને 14 લૂંટનો બનાવ સામે આવ્યા છે.
મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. જિલ્લામાં ક્રાઇમ રેટ દિવસે ન વધે તેના કરતાં રાત્રે વધે છે. જિલ્લામાં ગુનેગારો સામે જાણે વામણી પૂરવાર થઈ હોય તેમ ગેંગવોરના દ્રશ્ય રસ્તા પર સર્જાયા હતા.આ તાજેતરમાં શનાળા બાયપાસ પાસે થયેલા અંધાધૂંધી ફાયરિંગ કરી નામચીન મમુદાઢીની હત્યાનો કિસ્સો હજુ પણ નજરે જોનારાની આંખ સામે તરવરી રહ્યો છે. તો વીસીપરામાં.પિતા પુત્રની હત્યા હળવદમાં ડબલ મર્ડરની ઘટના પણ ઘટી હતી. મોરબી શહેરમાં અનેક વિસ્તારોમાં લુખ્ખા તત્વો છરી જેવા હથિયાર લઈ રોફ જમાવતા પણ જોવા મળતા હોય છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષમાં ગુનેગારોએટલી હદે બેફામ બન્યા છે કે જિલ્લામાં પોલીસના અસ્તિત્વ સામે પણ પ્રશ્નાર્થ ખડા થયા છે. સ્થિતિ જોઈએ તો 39 હત્યાના કેસ બન્યા હતા તો 13 જેટલી લૂંટની ઘટના જ્યારે 1 ધાડની ઘટના બની હતી આ સિવાય 18 જેટલી રાયોટિંગની ઘટના બની હતી.આ સીવાય લોકોની માલ મિલકત પણ સુરક્ષિત રહી નથી.ઘરફોડીની ઘટનામાં પણ મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે. ડીસેમ્બર સુધીમાં ઘરફોડી સહિતની ચોરીની 103 ઘટના બની હતી. ગત વર્ષની સરખામણીમાં ગુનામાં ખૂબ મોટા પાયે વધારો થયો છે.2020માં મોરબી જિલ્લામાં કુલ 18 જેટલી હત્યાની ઘટના નોંધાઇ હતી.જ્યારે જીવલેણ હુમલાની 11 ઘટના બની હતી. આ સિવાય ચોરીની ઘટનામાં પણ મોટા પાયે ઉછાળો આવ્યો છે 2020માં જિલ્લામાં 74 જેટલા ઘર કે દુકાના તાળાં તૂટ્યા હતા જ્યારે આ વર્ષે તે વધીને 84 થયા છે.

મોરબી પોલીસે અલગ અલગ ગુનામાં કુલ અટકાયત પણ કરી હતી જેમાં પોલીસે 107 અંતર્ગત 6743,સીઆરપીસી 109 હેઠળ 1270 લોકોની અટકાયત કરી હતી.જેમાથી 102 આરોપીઓને ચાલુ વર્ષે પાસા કર્યા હતા માથાભારે તત્વો પર ગુજકોક અંતર્ગત ગુન્હા દાખલ કરવા, આ સિવાય કડક પેટ્રોલીગના દાવા પણ કરવામાં આવી રહ્યા હોવા છતાં દિન પ્રતિદિન ગુનાહિત કેસનું પ્રમાણ વધ્યું છે. આવા સમયે જીલ્લામાં ફરી એકવાર કડક પોલીસ અધિકારીઓને અલગ અલગ પોલીસ મથકની કમાન સોંપવામાં આવે તેમજ ઉપરી અધિકારી દ્વારા પણ કડક મોનિટરિંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.પોલીસ હાલ પેટ્રોલિંગ તો કરે છે પરંતુ ગ્રામ વિસ્તારમાં કે લોકો સાથે જીવંત સંપર્ક રહ્યો નથી જેના કારણે ઘણા તેંમના બાતમીના સોર્સ દિનપ્રતિદિન ઘટી રહ્યા છે અને માહિતી પૂરતી મળતી નથી જેના કારણે ગુના હિત કૃત્યવધી રહ્યા છે.

