ગ્રીસ,શનિવાર
શુક્રવારે મોડી રાત્રે એજિયન સમુદ્રમાં એક શરણાર્થી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગ્રીક પાણીમાં શરણાર્થીઓને લઈ જતી બોટ સાથેના તાજેતરના ત્રણ અકસ્માતોમાં મૃત્યુઆંક ઓછામાં ઓછા 27 પર લાવી દીધો છે. ગ્રીસના પૂર્વી એજિયન ટાપુઓ પર ભારે પેટ્રોલિંગ કરવામાં આવે છે, કારણ કે આ ટાપુ વર્ષોથી શરણાર્થીઓની કટોકટીનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, દાણચોરો તુર્કીથી ઇટાલીનો માર્ગ પસંદ કરી રહ્યા છે, જે ખૂબ જ ખતરનાક છે અને તેથી જ તાજેતરમાં આ અકસ્માતો થયા છે.
કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે મધ્ય એજિયનમાં પેરોસ ટાપુથી લગભગ આઠ કિલોમીટર દૂર શુક્રવારે મોડી રાત્રે બોટ પલટી જતાં 62 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ કોસ્ટ ગાર્ડને જણાવ્યું કે તેમાં લગભગ 80 લોકો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડની પાંચ બોટ, નવ ખાનગી જહાજો, એક હેલિકોપ્ટર, એક લશ્કરી વિમાન અને કોસ્ટ ગાર્ડ ડાઇવર્સે રાતોરાત બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો.
તાજેતરમાં 11 લોકોના મોત થયા છે
અગાઉ ગુરુવારે, એન્ટીકિથેરા ટાપુ નજીક એથેન્સથી લગભગ 235 કિલોમીટર (145 માઇલ) દક્ષિણમાં એક ખડકાળ ટાપુ પર બોટ ઘૂસી જતાં 11 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. વધુમાં, શુક્રવારે, ગ્રીક પોલીસે દાણચોરીના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી અને દક્ષિણ પેલોપોનીઝ ટાપુમાં એક યાટ જોવા મળ્યા બાદ 92 શરણાર્થીઓને અટકાયતમાં લીધા હતા. ઘણા શરણાર્થીઓ ગુમ થયાની આશંકા વચ્ચે બુધવારે ગ્રીસના સાયક્લેડિક ટાપુ ફોલેગાન્ડ્રોસ પર બોટ ડૂબી જતાં ત્રીજા દિવસે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે
આ અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 13 લોકોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં બચી ગયેલા લોકોનું કહેવું છે કે 17 લોકો ગુમ છે.તમને જણાવી દઈએ કે ગ્રીસના દરિયાકાંઠે બનતી આવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. આફ્રિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત દેશોના લોકો વધુ સારા જીવનની શોધમાં ગેરકાયદેસર રીતે યુરોપિયન દેશોમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. આ લોકો વધુ સંખ્યામાં બોટમાં ચઢે છે. જેના કારણે બોટ અકસ્માતનો શિકાર બને છે.

