નવી દિલ્હી, શુક્રવાર
મહારાષ્ટ્રની પુરોગામી કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સરકારના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતાએ નોકરી અને શિક્ષણમાં મુસ્લિમોને અનામત આપવાની માગણી કરી છે. કોંગ્રેસના નાતેએ આના સંદર્ભે ઉદ્વવ ઠાકરે સરકારના મંત્રી અને પાર્ટીના અન્ય નેતાઓને પત્ર લખ્યો છે. તેમણે કહ્યુ છે કે જલ્દીમાં જલ્દી મુસ્લિમોને મહારાષ્ટ્રમાં અનામત આપવામાં આવે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નસીમ ખાને બુધવારે કહ્યુ છે કે સરકાર મુસ્લિમોને નોકરી અને શિક્ષણમાં 5 ટકા અનામત લાગુ કરે. નસીમ ખાન કોંગ્રેસ-એનસીપીની સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. તેમનું કહેવું છે કે શિવસેનાના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારમાં સામેલ કોંગ્રેસે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે લઘુમતીઓની વિભિન્ન યોજનાઓ હેઠળ જરૂરી ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવે.
નસીમ ખાને પોતાની માગણીઓને લઈને ઉદ્વવ સરકારમાં મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટને પત્ર લખ્યો છે. આ સિવાય તેમણે અન્ય કોંગ્રેસી નેતાઓને પણ પત્ર લખ્યો છે. તેમણે મંત્રી અને પાર્ટીના નેતાઓને આગ્રહ કર્યો છે કે અનામત લાગુ કરાવવા માટે તેઓ જરૂરી પગલા જલ્દીમાં જલ્દી ઉઠાવે.
મહારાષ્ટ્રમાં મુસ્લિમો માટે 5 ટકા અનામતની માગણી કરનારા કોંગ્રેસના નેતાએ પોતાની માગણીને લઈને દલીલ આપી છે કે બોમ્બે હાઈકોર્ટે મુસ્લિમ કોટાને મંજૂરી આપી હતી. પરંતુ એનડીઓની ગત સરકારે તેને લાગુ કર્યું નહીં. હવે રાજ્યમાં મહાવિકાસ અઘાડીની સરકાર છે, પરંતુ હજી સુધી તેને લઈને કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. નસીમખાને કહ્યુ છે કે એમવીએ સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ બની છે.

