ગાંધીનગર,બુધવાર
બિન સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં છે. જ્યારથી પેપરલીક થયું ત્યારથી વિરોધપક્ષો અસિત વોરા પર આક્ષેપો કરી રહ્યાં છે. સવારના 10 વાગ્યાથી કેબિનેટની બેઠક ચાલી રહી છે. તેમજ અસિત વોરા મુખ્યમંત્રી ઓફિસ પહોંચ્યા છે. કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને અસિત વોરા વચ્ચે ખાનગી બેઠક મળશે. આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ છે.
ગઈ કાલે આ મામલે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પેપરલીક થયાં બાદ તાત્કાલિક અસરથી પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને યુદ્ધના ધોરણે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગણતરીના દિવસોમાં જ પેપરલીક કરનાર લોકો સામે ફરિયાદ નોંધાઈ અને 14 લોકોની ધકપકડ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રિન્ટિંગ પ્રેસના કર્મી અને માલિક સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. હાલ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને 88 હજાર પરિવાર લોકોને ન્યાય મળી રહે તે માટેના સરકાર દ્વારા પગલા લેવામાં આવશે.
21 ડિસેમ્બરના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, સીએમ અને હર્ષ સંઘવીએ અધિકારીઓને કડક સૂચના આપીને સૌથી વધુ ગુનેગારોને તાત્કાલિક ઝડપી લીધા છે. પેપરલીક કાંડમાં અસિત વોરા સામે હજુ પુરાવા મળ્યા નથી, મળશે તો પગલા લેવાશે. યુવરાજસિંહ જાડેજાએ પેપર ફૂટ્યું હોવાનો દાવો કર્યા બાદ અસિત વોરાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે એક વોટ્સએપ મેસેજ આવ્યો છે પરંતુ તે પરીક્ષા પૂર્ણ થયા પછીનો હતો. હજુ સુધી કોઈ આધારભૂત પુરાવા મળ્યા નથી. અમારી પાસે આજદીન સુધી એકેય પુરાવો આવ્યો નથી.

