લખીમપુર ખીરી, સોમવાર
લખીમપુર ખીરી હિંસાના મામલામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા સહીતના પાંચ આરોપીઓની જામીન અરજી જિલ્લા જજે ફગાવી દીધી છે. એસઆઈટીના રિપોર્ટમાં લખીમપુર કાંડમાં ખેડૂતોના મોતને આયોજનપૂર્વકની હત્યા ગણાવાયા બાદ આશિષ મિશ્રાને કોર્ટમાંથી આ આંચકો લાગ્યો છે. મહત્વપૂર્ણ છે કે લખીમપુર ખીરી હિંસા મામલામાં કલમોમાં ફેરફાર કરાયા બાદ જિલ્લા જજની કોર્ટમાં સોમવારે સુનાવણી થવી હતી. આના પહેલા પણ આશિષની જામીનઅરજી જિલ્લા જજે નામંજૂર કરી હતી. આના સંદર્ભે શનિવારે આશિષ મિશ્રા દ્વારા બીજી વખત જામીન અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી થઈ હતી.
મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા એસઆઈટીએ દુર્ઘટનાની કલમો હટાવીને તેના સ્થાને હત્યાની કોશિશ, અંગભંગ, એકજૂટ થઈને ગુનો કરવો અને શસ્ત્રોના દુરુપયોગની કલમો લગાવી દીધી હતી. વિવેચકે રિમાન્ડ ફાઈળ અને કોર્ટ કેસમાં આ કલમોને દાખલ કરવા માટે કોર્ટમાં અરજી આપી હતી. તેના પર આજે તમામ આરોપીઓને કોર્ટમાં તલબ કરાયા હતા. ખાસ વાત એ છે કે એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં માન્યું છે કે આ ગુનો કોઈ બેદરકારીના પરિણામે નહીં, પરંતુ જાણીજોઈને, ષડયંત્રપૂર્વક અને જીવ લેવાના ઈરાદે કરવામાં આવેલો ગુનો છે. આ ખુલાસા બાદ તમામ આરોપીઓ પર બિનઈરાદાપૂર્વકની હત્યાના સ્થાને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. એસઆઈટી હવે આપીઓ પર 307, 326, 302, 34,120 બી,147, 148,149 હેઠળ મામલો નોંધ્યો છે. આના પહેલા લખીમપુર કાંડના ગુનેગારો પર આઈપીસીની કલમ-279, 338, 304-એ હેઠળ કરાય રહી હતી.
લખીમપુરના તિકુનિયામાં 3 એક્ટોબરે થયેલી બબાલમાં ચાર ખેડૂતો સહીત 8ના મોત નીપજ્યા હતા. આ મામલામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ સહીત 13 આરોપીઓ જેલમાં બંધ છે. ખેડૂતોનો આરોપ છે કે જે એસયૂવીથી કચડીને ખેડૂતોના જીવ લેવામાં આવ્યા, તે ગાડી અજય મિશ્રા ટેનીની છે અને ગાડી તેમનો પુત્ર આશિષ મિશ્રા ચલાવી રહ્યો હતો. ઘણી કોશિશો બાદ પોલીસે હાઈકોર્ટના નિર્દેશ પર 9 ઓક્ટોબરે આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી.

