અમદાવાદ, રવિવાર
શનિવારે યુ.કે.થી આવેલી NRI મહિલા પેસેન્જરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જોકે મહિલાનો ફોન પર સંપર્ક ન થઈ શકતા ક્રાઈમ બ્રાંચને જાણ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહિલાનો યુકે અને દિલ્હીમાં કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પણ અમદાવાદ આવતા તે કોવિડ પોઝિટિવ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ NRI મહિલા સ્વજનનું મૃત્યુ થયું હોવાથી યુ.કે.થી અમદાવાદ આવી હતી. જો કે રજિસ્ટ્રેશન ફોર્મમાં તેણે સરનામું લખ્યું ન હતું. માત્ર ફોન નંબર લખીને નીકળી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં મહિલાને શોધી કાઢી હતી.
દુનિયાભરમાં ઓમિક્રોમના ભય વચ્ચે મુસાફરોનું સઘન ટેસ્ટિંગ થઈ રહ્યું છે. શનિવારે અમદાવાદ એરપોર્ટ પર આવેલી NRI મહિલા કોરોના પોઝિટિવ નીકળી હતી, પરંતુ ફોર્મમાં તેણે પોતાનું અમદાવાદનું એડ્રેસ નહોતું લખ્યું, બીજી તરફ ફોનથી પણ તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. આથી ક્રાઈમબ્રાન્ચને જાણ કરવી પડી હતી. આ અંગે મહિલાએ બાદમાં પોતાના કામમાં વ્યસ્ત હોવાથી ફોન ના ઉપાડી શક્યાનો જવાબ આપ્યો હતો.મહિલાએ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ રજીસ્ટ્રેશન ફોર્મમાં સરનામું નહોતું લખ્યું. જો કે કોવિડ પોઝિટિવ મહિલાનો ફોનથી સંપર્ક કરાતા તેણે ફોન પણ ઉપાડ્યા નહોતા આથી તે ક્વોરન્ટાઈનના નિયમોનું પાલન ના કરતી હોવાનું માની લેવામાં આવ્યું હતું. આ મહિલાને શોધવા માટે ક્રાઈમ બ્રાંચની મદદ લેવામાં આવતા પોલીસે ફોન નંબર આધારે મહિલાને શોધી કાઢી હતી. મહિલાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્વજનનું મરણ થયું હોવાથી પોતે અમદાવાદ આવી હતી અને ઉતાવળમાં આ ભૂલ થઈ હતી. તે પોતે ક્વોરન્ટાઈન નિયમોનું પાલન કરતી હોવાનું પણ જણાવ્યું હતું. (તસ્વીર પ્રતિકાત્મક છે)

