અમદાવાદ,રવિવાર
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે.બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 29 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે.બપોરે 1 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 28 ટકા, ઉત્તર ગુજરાતમાં 29 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 33 ટકા, મધ્ય ગુજરાતમાં 25 ટકા મતદાન થયું છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા છે. તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.
મોરબી જિલ્લાના અનેક ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાનની કતારો લાગી છે. ત્યારે મોરબીના શિવનગર ગામે ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. વાલિયા તાલુકાનાં કેસરગામના ગ્રામજનોને પ્રાથમિક સુવિધા અને કીમ નદી પુલ બનાવવામાં નહિ આવતા ગામના 350 જેટલા મતદારોએ ગ્રામ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો. જ્યાં સુધી પુલ અને પ્રાથમિક સુવિધા ન મળે ત્યાં સુધી આવનાર તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.જે બાદ આજરોજ અગાઉની ચૂંટણીઓ જેમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મતદાન નહીં કરી 350 જેટલા મતદારોએ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો.

