નવી દિલ્હી, ગુરુવાર
હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન બાદ ફરીથી જૂની વ્યવસ્થાને હંગામી ધોરણે શરૂ કરવામાં આવી છે. સીડીએસના પદ પહેલા દેશમાં ચીફ ઓફ સ્ટાફ કમિટી હતી. જનરલ બિપિન રાવતના નિધન બાદ સીડીએસનું પદ ખાલી થઈ ગયું છે. માટે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેને ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સીડીએસનું પદ આવ્યા પહેલા ચીફ ઓફ સ્ટાફ કમિટી જ ત્રણેય સૈન્ય પાંખ વચ્ચે કોઓર્ડિનેશનનું કામ કરતી હતી. આ કમિટીમાં ત્રણેય સૈન્ય પ્રમુખો સામેલ હોય છે. જનરલ નરવણે સૌથી વરિષ્ઠ છે,માટે તેમને આ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કેજ્યાં સુધી નવા સીડીએસની નિયુક્ત નહીં થઈ જાય , ત્યાં સુધી આ વ્યવસ્થા લાગુ રહેશે. એક અધિકારીએ કહ્યુ છે કે સીડીએસની ગેરહાજરીમાં વરિષ્ઠ સૈન્ય પ્રમુખ ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેનનો પદભાર ગ્રહણ કરે છે. ચીફ ઓફ સ્ટાફ કમિટીને ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ જે સીડીએસને રિપોર્ટ કરતા હતા, હવે તે જનરલ નરવણેને રિપોર્ટ કરશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સના પણ પ્રમુખ હોય છે અને ચીફ ઓફ સ્ટાફ કમિટીના સ્થાયી અધ્યક્ષ હોય છે. ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેર્સમાં જે અન્ય સૌથી વરિષ્ઠ અધિકારી હોય છે, તે એડિશનલ સેક્રેટરી હોય છે. આ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ સેક્રેટરી થ્રી-સ્ટાર મિલિટ્રી ઓફિસર હોય છે. હાલ આ પદ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરી પાસે છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પાસે ત્રણેય સૈન્ય પાંખના પ્રશાસનિક મુદ્દાઓનો અધિકાર હોય છે. 2019માં જ્યારે દેશમાં પહેલીવાર સીડીએસની નિયુક્તિ કરવામાં આવી હતી, તો તે સમયે સરકારે એક નિવેદન જાહેર કર્યુ હતું કે સીડીએસ ત્રણેય સૈન્ય પાંખના મુદ્દાઓને લઈને સંરક્ષણ મંત્રીના મુખ્ય સલાહકાર હશે. જ્યારે ત્રણેય સેનાઓના પ્રમુખ પોતાની સેવાઓ સંબંધિત મામલાઓ પર સલાહ આપશે. સીડીએસ મિલિટ્રી કમાન્ડ આપી શકતા નથી.
સીડીએસ જનરલ બિપિન રાવતનું નિધન 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર ક્રેશમાં થયું હતું. વાયુસેનાનું એમઆઈ-17-વી-5 હેલિકોપ્ટર સીડીએસ રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહીત 14 અધિકારીઓને લઈને જઈ રહ્યું હતું. આ ચોપર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં જનરલ રાવત, તેમની પત્ની સહીત 13ના તે જ દિવસે નિધન થયા હતા. જ્યારે ગ્રુપ કેપ્ટન વરુણસિંહ આઠ દિવસ બાદ સારવાર દરમિયાન 15 ડિસેમ્બરે મોતને ભેંટયા હતા.

