કેન્યા, બુધવાર
કેન્યામાં ગંભીર દુકાળની સ્થિતિને કારણે જીવન દુભર બન્યું છે. દેશમાં દુકાળની અસર ત્યાંના જિરાફો પર પણ પડી છે. ભૂખ-તરસથી મૃત પડેલા કેટલાક જિરાફોની હ્રદયદ્રાવક તસવીરો સામે આવી છે. જે તસવીરોને ઈન્ટરનેટ પર શેયર કરવામાં આવી છે. તેમાં કેન્યાના ઉત્તર-પૂર્વ શહેર વજીરમાં સાબુલી વન્યજીવ અભ્યારણની અંદર 6 જિરાફો મૃત પડેલા દેખાય છે.
આ તસવીર ભોજન અને પાણીની તંગીથી કમજોર બનેલા જિરાફોના મર્યા બાદ લેવામાં આવી છે. જણાવવામાં આવે છે કે જિરાફ નજીકના લગભગ સુકાય ગયેલા તળાવમાંથી પાણી પીવાની કોશિશ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ કીચડમાં ફસાય ગયા અને તેનાથી તેમનું મોત નીપજ્યું હતું. ત્યાંથી તેમના મૃતદેહોને એક અલગ સ્થાન પર લાવવામાં આવ્યા, જ્યાં તસવીરો પણ લેવામાં આવી હતી. તળાવના પાણીને દૂષિત થતું બચાવવા માટે લાશોને ત્યાંથી હટાવવામાં આવી છે.
એક અન્ય તસવીરમાં આઈરિબ ગામની સહાયક મુખ્ય નદી અબ્દી કરીમને 6 જિરાફોની લાશોને જોતા દર્શાવવામાં આવ્યા છે. આ વિસ્તાર સાબુલી વન્યજીવ અભ્યારણમાં આઈરિબ ગામના બહારી વિસ્તારમાં આવેલો છે. આ તસવીર 10 ડિસેમ્બરે લેવામાં આવી હતી. અલજજીરા પ્રમાણે, સપ્ટેમ્બરથી કેન્યાના ઉત્તરમાં સામાન્યથી 30 ટકા ઓછો વરસાદ થયો છે અને તેના કારણે આ વિસ્તાર ગંભીર દુકાળની સ્થિતિમાં સપડાયો છે. ઓછા વરસાદને કારણે વિસ્તારના વન્યજીવો પર ઘણી ખરાબ અસર થઈ છે. વિસ્તારમાં જંગલી જાનવરોની ભોજન સામગ્રી અને પાણીની તંગી થઈ ગઈ છે. પશુપાલન કરતા ખેડૂતોની આજીવિકા પર પણ આ દુકાળે બેહદ ગંભીર વિપરીત અસરો પેદા કરી છે.
કેન્યાની ન્યૂઝ વેબસાઈટ ધ સ્ટારે બોર-અલ્ગી જિરાફ અભ્યારણ્યના ઈબ્રાહીમને ટાંકીને જણાવ્યું છે કે આ દુકાળનો સૌથી વધુ ખતરો જંગલી જાનવરોને છે. તેમણે કહ્યુ છે કે પાળતું જાનવરોની દેખરેખ થઈ રહી હતી. પરંતુ વન્યજીવોની દેખરેખ થઈ રહી નથી. માટે તે દુકાળથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. તેમણે એમ પણ કહ્યુ છે કે નદીના કિનારે ખેતી કરાય રહી છે, તેના કારણે જિરાફોનું પાણી સુધી પહોંચવાનું થંભી ગયું છે. તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ધ સ્ટારના અહેવાલ મુજબ, દુકાળને કારણે 4 હજાર જેટલા જિરાફના મોતનો ખતરો છે.
કેન્યામાં દુકાળની અસર માત્ર પશુઓ પર જ નહીં, પરંતુ ત્યાંના લોકો પર પણ થઈ હી છે. દેશના દુકાળ પ્રબંધન પ્રાધિકરણે સપ્ટેમ્બરમાં ચેતવણી આપી હતી કે દેશમાં ગંભીર દુકાળને કારણે લગભગ 21 લાખ કેન્યાવાસીઓ ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રપ્રમુખ ઉહુરુ કેન્યાટાએ સપ્ટેમ્બરમાં જ દુકાળને રાષ્ટ્રીય આફત જાહેર કરી હતી. મંગળવારે યુએનએ કહ્યું છે કે 29 લાખ લોકોને હજીપણ તાત્કાલિક માનવીય સહાયતાની જરૂરત છે. કેન્યાના કેટલાક વિસ્તારોમાં તાજેતરના દશકાઓમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. આ ઘટનાક્રમની વચ્ચે કેન્યાના રાષ્ટ્રીય દુકાળ પ્રબંધન પ્રાધિકરણે ગત સપ્તાહે દુકાળથી પ્રભાવિત 25 લાખ લોકો માટે એક ઈમરજન્સી રાહત કેશ ટ્રાન્સફર પ્રોગ્રામની જાહેરાત કરી છે.

