નવી દિલ્હી, મંગળવાર
કેન્દ્ર સરકારે આજે લોકસભામાં જાણકારી આપી છે કે ગત 7 વર્ષોમાં 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. સરકારે કહ્યું છે કે વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ જાણકારી પ્રમાણે ગત 7 વર્ષોમાં 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં 881254 ભારતીયોએ પોતાની નાગરિકતા ત્યાગી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આના પહેલા 1 ડિસેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે ગત સાત વર્ષોમાં 20 સપ્ટેમ્બર સુધીમાં 608162 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી હતી. તેમાં હવે 111287 લોકોએ આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધીમાં પોતાની નાગરિકતા છોડી હતી. તેમણે કહ્યુ હતુ કે 10645 વિદેશી નાગરિકો જેમાં સૌથી વધુ 7782 પાકિસ્તાન અને 795 અફઘાનિસ્તાની છે. તેમણે 2016 અને 2020ની વચ્ચે ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે. તેમણે કહ્યુ છે કે હાલમાં 100 લાખથી વધારે ભારતીયો વિદેશોમાં વસવાટ કરી રહ્યા છે. ગૃહ મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે, 1.25 કરોડ ભારતીય નાગરિકો વિદેશમાં રહે છે. તેમાંથી 37 લાખ લોકો ઓસીઆઈ એટલે કે ઓરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા કાર્ડધારક છે.
આ પહેલા 30 નવેમ્બરે ગૃહ મંત્રાલયે લોકસભામાં કહ્યું હતું કે ગત પાંચ વર્ષોમાં 4177 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે. એમએચએએ જણાવ્યુ છે કે નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ને 12 ડિસેમ્બર, 2019ના રોજ નોટિફાઈ કરવામાં આવ્યો હતો અને તે 10 જાન્યુઆરી, 2020થી લાગુ થઈ ગયો છે. સીએએ અંતર્ગત આવનારા લોકો સીએએના નિયમોને અધિસૂચિત કરાયા બાદ નાગરિકતા માટે અરજી કરી શકે છે. એનઆરઆઈસીના રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર એક જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે હજી સુધી સરકારે રાષ્ટ્રીય સ્તર પર ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજીસ્ટરને તૈયાર કરવાનો કોઈ નિર્ણય કર્યો નથી. તો જ્યાં સુધી આસામનો સવાલ છે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર એનઆરસીમાં સામેલ કરવાની સપ્લીમેન્ટ્રી લિસ્ટ અને તેમાથી બહાર કરવાની ઓનલાઈન ફેમિલી વાઈઝ લિસ્ટની હાર્ડ કોપી 31 ઓગસ્ટ-2019ના રોજ પ્રકાશિત થઈ ચુકી છે.

