દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસો સામે કેન્દ્ર સરકાર તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જોખમ ધરાવતા દેશોમાંથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટનું પ્રી બુકીંગ કરાવવાનું રહેશે. આ આદેશ 20 ડિસેમ્બરથી લાગુ થશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આ આદેશ પ્રમાણે 20 ડિસેમ્બરથી દિલ્લી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરૂ અને હૈદરાબાદના એરપોર્ટ ઉપર જોખમવાળા દેશોમાંથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ માટે પ્રી બુકીંગ કરાવવાનું રહેશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ દુનિયાના ઘણા દેશોમાં પ્રસરી ચુક્યો છે. એટલું જ નહીં બ્રિટનમાં ઓમિક્રોન વાયરસથી પહેલું મોત નીપજ્યાંનું સામે આવ્યું છે.

ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસોની સંખ્યાં 49 થઈ ગઈ છે. મંગળવારે દિલ્લી અને રાજસ્થાનમાંથી નવા 4-4 કેસો સામે આવ્યાં છે. દિલ્લીમાં ઓમિક્રોનના 4 નવા કેસો સામે આવ્યાં બાદ હવે રાજ્યમાં તેની સંખ્યા 6ની થઈ છે. તો રાજસ્થાનમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 13 કેસો સામે આવી ચુક્યાં છે. તો મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 20, કર્ણાટકમાંથી 3, ગુજરાતમાંથી 4, કેરળ-આંધ્રપ્રદેશ અને ચંડીગઢમાંથી 1-1 કેસો સામે આવ્યાં છે.

એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે દેશની તુલનામાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઓમિક્રોનનું સંક્રમણ મળ્યું છે. મુંબઈમાં કલમ 144 લાગુ કરાઈ છે. ઓમિક્રોન ભારતમાં ત્રીજી લહેર માટે જવાબદાર બનશે તેવી આશંકાઓ વારંવાર વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે છેલ્લી બે લહેરોમાં ઘરે ઘરે પહોંચેલો કોરોના વાયરસ કરતા ઓમિક્રોન બમણી ઝડપથી ફેલાઈ શકવાની ક્ષમતા રાખે છે. આ પહેલા WHOએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 63 દેશોમાં કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો થઈ ચુક્યો છે અને તેની ફેલાવવાની ઝડપ ડેલ્ટા વેરિયન્ટને પણ પાછળ છોડી રહી છે.

