અમદાવાદ,રવિવાર
ગઇકાલે દેશભરમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 2021ની છેલ્લી લોક અદાલત યોજાઈ હતી. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં લોક અદાલત મળી હતી. જેમાં અલગ અગલ કેસોમાં સમાધાનકારી વલણ અપનાવી કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અંતર્ગત રાજ્યમાં વર્ષની ત્રીજી મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે રાજ્યમાં આયોજિત થયેલી નેશનલ મેગા લોક અદાલતમાં કુલ 207305 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો. જેમાં રાજ્યોના 1828835 પેન્ડિંગ કેસો તેમજ 24470 પ્રિ લિટિગેશન કેસોનો સમાવેશ થાય છે.આ કેસોમાં કુલ 716 કારોડથી વધુની રકમનું સમાધાન પણ કરાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં આ વર્ષની ત્રીજી મેગા લોક અદાલતનું આ આયોજન હતું. જેમાં મોટા પ્રમાણમાં પેન્ડીંગ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આયોજિત નેશનલ મેગા લોક અદાલતને કારણે ઘણા બધા કેસોનું ભારણ ઘટાડી શકાય એવું છે, એટલું જ નહીં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં સૌથી વધુ 31205 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જે પછી બીજા ક્રમે રાજકોટમાં 22161 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.રાજ્યમાં પેન્ડિંગ કેસોનું ભારત ઘટાડવા માટેની પ્રાથમિકતા ને ધ્યાને લઇને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર જે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન-ઇન-ચીફ છે, અને જસ્ટિસ આર.એમ. છાયા જે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી સભ્ય છે, તેમજ હાઇકોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ જસ્ટિસ સોનિયા ગોકાણી દ્વારા વધુમાં વધુ પેન્ડિંગ કેસોનો નિકાલ થાય એ માટે લોક અદાલત થકી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોરોના જેવો સમયકાળ છતાંય રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ વધુમાં વધુ કેસોના નિકાલ થાય એ દિશામાં પગલાં લઈ રહ્યા છે.
અમદાવાદ જિલ્લામાં પણ અદાલતમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં ઐતિહાસિક સમાધાન કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં રાજ્યભરમાં અંદાજે અઢી લાખ કેસ મુકાયા છે ત્યારે અમદાવાદમાં યોજાયેલી લોક અદાલતમાં એક સાથે 6 હજારથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતમાં અમદાવાદ જિલ્લાના 60 જજ જોડાયા હતા. અકસ્માતના એક કેસમાં દીકરો ગુમાવનાર વિકલાંગ પિતાને ન્યાય અપાવતા લોક અદાલતે પિતાને ફ્યુચર જનરલ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપની પાસેથી 1 કરોડ 60 લાખનું વળતર અપાવ્યું હતું જે એક ઐતિહાસિક સમાધાન બનવા પામ્યું છે.
મહત્વનું છે કે વર્ષ 2016માં અમદાવાદમાં એક અકસ્માત દરમિયાન વિકલાંગ પિતાએ પુત્ર ગુમાવ્યો હતો.જે બાદ પિતાએ લોક અદાલતનો સહારો લીધો હતો. ત્યારે ઇન્સ્યુરન્સ કંપનીએ મૃતકના વિકલાંગ પિતાને 1.60 કરોડ ચૂકવ્યા હતા. લોક અદાલતમાં કેસનું સમાધાન થતા પુત્ર ગુમાવનાર પિતાને વળતર અપાયું હતું આ સમયે લોક અદાલતમાં બાર એસો.ના પ્રમુખ રાજેશ પારેખ અને ધર્મેન્દ્ર ચૌહાણ અને યોગેષ શાહ સહિતના વકીલો હાજર રહ્યા હતા.

