બલરામપુર, શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તરપ્રદેશના બલરામપુર પહોંચ્યા. અહીંથી વડાપ્રધાન મોદીએ તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યુ છે કે દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતજીનું જવું દરેક ભારતપ્રેમી માટે ઘણી મોટી ક્ષતિ છે.
તેમણે કહ્યુ છે કે રાષ્ટ્રનિર્માતાઓ અને રાષ્ટ્રરક્ષકોની આ ધરતી પરથી હું આજે દેશના એ તમામ વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું, જેમણે 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા. દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતજીનું જવું દરેક ભારતપ્રેમી માટે ઘણી મોટી ક્ષતિ છે. જનરલ બિપિન રાવતજી જેટલા જાંબાજ હતા, દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે જેટલી મહેનત કરતા હતા, આખો દેશ આનો સાક્ષી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે જનરલ બિપિન રાવત આગામી દિવસોમાં પોતાના ભારતને નવા સંકલ્પો સાથે, તેઓ જ્યાં હશે ત્યાંથી ભારતને આગળ વધતું જોશે. દેશની સીમાઓની સુરક્ષાઓને વધારવાનું કામ, દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવાનું અભિયાન, ત્રણેય સેનાઓમાં તાલમેલ વધારવાનું કામ ઝડપથી આગળ વધતું રહેશે. ભારત દુખમાં છે. પરંતુ દર્દ સહન કરતા કરતા પણ પોતાની ન ગતિ રોકે છે અને ન તો આપણી પ્રગતિ. ભારત થંભશે નહીં. ભારત રોકાશે નહીં. આપણે દરેક પડકારોનો સામનો કરીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે દેવરિયાના વતની ગ્રુપ કેપ્ટન વરુણસિંહજીનું જીવન બચાવવા માટે ડોક્ટરો જી-જાન લગાવી રહ્યા છે. હું માતા પાટેશ્વરીને તેમના જીવનની સુરક્ષાની પ્રાર્થના કરું છું. દેશ આજે વરુણસિંહજીના પરિવારની સાથે છે, જે વીરોને આપણે ગુમાવ્યા છે, તેમના પરિવારની સાથે છે. મહત્વપૂર્ણ છે કે હેલિકોપ્ટર ક્રેશમાં એકમાત્ર જીવિત બચેલા વરુણસિંહ યુપીના દેવરિયાના છે અને તેઓ બેંગલુરુની સેનાની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

