નવી દિલ્હી, શનિવાર
સાઉદી અરેબિયાની સરકારે સુન્ની ઈસ્લામી રુઢિવાદી સંગઠન તબલીગી જમાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે આ સંગઠનને આતંકવાદના પ્રવેશદ્વારોમાંથી એક ગણાવી છે. સાઉદી ઈસ્લામિક મામલાના મંત્રાલયે મસ્જિદમાં ઉપદેશકોને આદેશ કર્યો છે કે તેઓ લોકોને તબલીગી જમાત બાબતે લોકોને સાવધાન રહેવા માટે આગામી શુક્રવારે જણાવે.
સાઉદી સરકારે મસ્જિદોને આ સંગઠનની પથભ્રષ્ટતા, વિચલન અને ખતરા સંદર્ભે જણાવવા માટે નિર્દેશ કર્યો છે. કહેવામાં આવ્યું છે કે આ આતંકવાદના દ્વારોમાંથી એક છે. તબલીગી જમાતની સૌથી મોટી ભૂલોને જણાવવા માટે કહેવામાં આવ્યું છે. સાઉદીના ઈસ્લામિક મામલાના મંત્રાલયે સમાજને આ સંગઠનથી થનારા ખતરાને લઈને જણાવવા માટે પણ તાકીદ કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે, 1926માં ભારતમાં બનેલી તબલીગી જમાત એક સુન્ની ઈસ્લામિક મિશનરી આંદોલન છે, તે મુસ્લિમોને સુન્ની ઈસ્લામના શુદ્ધ સ્વરૂપમાં પાછા ફરવા અને ધાર્મિક રીતે ચોક્સાઈપૂર્વક રહેવાની અપીલ કરે છે. આ સંગઠન ડ્રેસિંગ, વ્યક્તિગત વ્યવહાર અને અનુષ્ઠાનોને શુદ્ધ ઈસ્લામી સ્વરૂપમાં કરવાની તરફદારી કરે છે.
એક અનુમાન પ્રમાણે, દુનિયાભરમાં તબલીગી જમાતના 35થી 40 કરોડ સદસ્યો છે. તેમનો દાવો છે કે તેમનો ફોકસ એરિયા ધર્મ છે અને તેઓ રાજકીય ગતિવિધિઓથી બચે છે. યૂનાઈટેડ સ્ટેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પીસે તબીલીગી જમાતને એક ઈસ્લામી પુનરુત્થાનવાદી સંગઠન તરીકે ગણાવી છે. કહેવામાં આવ્યું છે કે આતંકવાદ સંદર્ભે ઘણીવાર આ સંગઠનનું નામ સામે આવ્યું છે.
ભારતમાં ગત વર્ષ લોકડાઉનના નિયમોનો ભંગ કરવા માટે કોવિડ મહામારીની પહેલી લહેર દરમિયાન દિલ્હીના નિજામુદ્દીન ક્ષેત્રમાં એક જાહેર સભાના આયોજન બદલ સમૂહની આકરી ટીકા કરવામાં આવી હતી. પ્યૂ રિસર્ચ સેન્ટર પ્રમાણે, તબલીગી જમાત પશ્ચિમી યુરોપ, આફ્રિકા અને દક્ષિણ એશિયા સહીતના દુનિયાભરના 150 દેશોમાં સક્રિય છે. રિપોર્ટ્સ પ્રમાણે, દક્ષિણ એશિયા ખાસ કરીને ઈન્ડોનેશિયા, મલેશિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત અને થાઈલેન્ડ જેવા દેશોમાં આ સંગઠનના કરોડો સદસ્યો છે.

