નવી દિલ્હી, શુક્રવાર
સીડીએસ જનરલ બિપિન રાવત સહીત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય અપાય રહી છે. આના પહેલા જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના પાર્થિવ શરીરને બેસ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. અહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, હરીશ રાવત સહીતના તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
સીડીએસ જનરલ રાવત અને તેમના પત્નીને તેમની પુત્રીઓ કૃતિકા અને તારિણીએ શ્રદ્ધાંજલિ આપી છે. તેના પછી બપોરે 12.30થી 1.30 સુધીમાં સૈન્યાધિકારીઓ શ્રદ્ધાંજલિ આપવાના છે. બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ શરીરને દિલ્હી કેન્ટ બરાડ ચોક ખાતે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવશે.
જનરલ બિપિન રાવતને ત્રણેય સેનાના પાંખના પ્રમુખોએ પણ આખરી સેલ્યૂટ આપીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. સેનાધ્યક્ષ જનરલ એમ. એમ. નરવણે, નૌસેનાધ્યક્ષ એડમિરલ આર. હરિકુમાર અને વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
મહત્વપૂર્ણ છે કે ગુરુવારે પાલમ એરપોર્ટ ખાતે જનરલ રાવત સહીતના 13 મૃતકોના પાર્થિવ દેહને લાવવામાં આવ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. એનએસએ અજીત ડોભાલે પણ અહીં શ્રદ્ધાંજલિ આપી હતી.

