અમદાવાદ, શુક્રવાર
ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી મોદીના ડ્રિમ પ્રોજેક્ટ દિવ્ય કાશી ભવ્ય કાશીનું આયોજન કરવામાં આવ્યું છે.13 ડિસેમ્બરે PM કાશી વિશ્વધામ પ્રોજકટનું ઉદ્ઘાટન કરશે.આ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતમાં પણ અનેક કાર્યક્રમો કરવામાં આવશે.કાર્યક્રમને લઇ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કહ્યું કે ગુજરાતમાં પણ તમામ શિવાલયો પર જલાભિષેક થશે.
13 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. પેગોડા અને મુખ્ય મઠ મંદિરોમાં સ્થિત તમામ 27,700 શક્તિ કેન્દ્રોમાં વ્યવસ્થિત રીતે સ્ક્રીન લગાવીને તેના લોકાર્પણ સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.કાર્યક્રમોમાં ‘દિવ્ય કાશી-ભવ્ય કાશી’નું સાહિત્ય પણ આપવામાં આવશે. આ સાથે પાંચ લાખ ઘરોમાં પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે. આ દરમિયાન ધર્મગુરુઓ અને ઋષિ-મુનિઓનું પણ સન્માન કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા આ કાર્યક્રમને ભાજપનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે ત્યારે આ અંગે ઝડફિયાએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપના શક્તિ પ્રદર્શનની કોઇ વાત નથી.ઉત્તર પ્રદેશમાં પહેલાથી જ ભાજપ તરફી હવા રહી છે.કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ દ્વારા ‘દિવ્ય કાશી-ભવ્ય કાશી’ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન 13મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી સુધી એક મહિના માટે ચલાવવામાં આવશે. આ અંતર્ગત 27,700 શક્તિ કેન્દ્રો સ્થિત પેગોડામાં પૂજા કરવામાં આવશે. સાથે જ 13 થી 14 ડિસેમ્બર સુધી રાજ્યના તમામ ઘરો, બજારો અને મંદિરોમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવશે.

