કાબુલ, શુક્રવાર
અમેરિકાની સેનાએ ઓગસ્ટના આખરમાં અફઘાનિસ્તાનમાંથી પોતાના મિલિટ્રી મિશનને સમાપ્ત કરીને વાપસી કરી છે. તેના પછી આતંકવાદી જૂથ અલકાયદાના આતંકીઓની સંખ્યા થોડી વધી છે અને અફઘાનિસ્તાના નવા તાલિબાની નેતા એ વાતને લઈને વિભાજીત છે કે સમૂહની સાથે સંબંધ તોડવા બાબતે 2020માં લેવામાં આવેલો સંકલ્પ પૂર્ણ કરવામાં આવે અથવા નહીં. અમેરિકાના ટોચના એક સૈન્ય કમાન્ડરે 9 ડિસેમ્બરે આ વાત કહી છે.
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ મરીન જનરલ ફ્રેંક મેકેંજીએ કહ્યુ છે કે અફઘાનિસ્તાનથી અમેરિકાની સેના અને ગુપ્તચર એજન્સીઓના ચાલ્યા જવાથી અફઘાનિસ્તાનની અંદર અલકાયદા અને અન્ય આતંકી જૂથો પર નજર બનાવી રાખવાનું બેહદ મુશ્કેલ થઈ ગયું છે. મરીન જનરલ મેકેંજીએ અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યમથક પેંટાગનમાં કહ્યુ છે કે આ સ્પષ્ટ છે કે અલકાયદા અફઘાનિસ્તાનની અંદર પોતાની હાજરીને ફરીથી મજબૂત કરવાની ફિરાકમાં છે. જ્યાંથી તેણે 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા વિરુદ્ધ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. તેમણે કહ્યુ છે કે કેટલાક આતંકવાદીઓ અફઘાનિસ્તાનની સીમાથી દેશમાં આવી રહ્યા છે, પરંતુ અમેરિકા માટે તેમની સંખ્યા પર નજર રાખવું કઠિન છે.
અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા આતંકી હુમલાઓ બાદ લગભગ 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીનું નેતૃત્વ કર્યું અને તાલિબાનને સત્તામાંથી હટાવવામાં સફળતા પણ મેળવી હતી. પરંતુ આખરે તાલિબાને અમેરિકાની સેનાની દેશવાપસી બાદ અફઘાનિસ્તાન પર ફરીથી કબજો કરી લીધો છે. એપ્રિલમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડને ઘોષણા કરી હતી કે તે અફઘાનિસ્તાનથી સંપૂર્ણ સેનાને હટાવી રહ્યા છે. તેના પછી તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવવાની શરૂઆત કરી દીધી હતી.

