કર્ણાટક,બુધવાર
કર્ણાટકમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જ્યાં ખેડૂત ગાયને દૂધ ન આપવાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલો શિમોગા જિલ્લાનો છે. અહીંના સિદલીપુર ગામમાં રહેતા એક ખેડૂતે પોતાની જ ગાય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ઘાસચારો ખવડાવવા છતાં ગાય દૂધ આપતી નથી. રામૈયા નામના આ ખેડૂતે હોલેહોન્નુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને મદદની વિનંતી કરી છે.
ખેડૂતે પોલીસને કહ્યું કે તે દરરોજ ગાયને સવારે 8 થી 11 વાગ્યા સુધી અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી ઘાસચારો ખવડાવે છે. ઘાસચારો ખવડાવ્યાં બાદ પણ ગાય દૂધ આપતી નથી. જે ખોટુ છે. આવી સ્થિતિમાં તમે ગાયને પોલીસ સ્ટેશન બોલાવો અને તેને સમજાવીને દૂધ આપવા માટે રાજી કરો.
પોલીસે શું કહ્યું ?
પોલીસે પહેલાં આ ખેડૂતની ફરિયાદ સાંભળી. ફરિયાદ સાંભળ્યાં બાદ પોલીસે ખેડૂતને સમજાવ્યો કે પોલીસ આ પ્રકારના કેસોનો ઉકેલ લાવતી નથી અને આવા કેસ પણ નોંધતી નથી. પોલીસે ખેડૂતને જાતે આ સમસ્યાનો ઉકેલ લાવવાની વાત કહી ખેડૂતને પાછો મોકલ્યો.

