અમદાવાદ,રવિવાર
રાજ્યમાં ભ્રષ્ટાચારનાં અવાર નવાર આરોપો લાગતા રહે છે. ખાસ કરીને પોલીસ વિભાગ અને મહેસુલ વિભાગ આ મુદ્દે વારંવાર ચર્ચામાં આવતું રહે છે. વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા એસીબી દ્વારા છટકું ગોઠવી અધિકારીઓ અને કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવતા હોય છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારના મહેસુલ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આ મામલે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.
અમદાવાદમાં એક વકીલ દ્વારા અમદાવાદ સ્થિત મહેસુલ કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવાયા હતા. અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં થતો ભ્રષ્ટાચાર છતો થયા બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે કડક વલણ અપનાવતા કહ્યું કે, જો ભ્રષ્ટાચારને લઈને અધિકારીઓ સામે કોઈ ફરિયાદ આવશે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈ અધિકારી લાંચની માગ કરે તો નિડર થઈને મને ફરિયાદ કરો.
મહત્વનું છે કે,હાઈકોર્ટ વકીલના આરોપો બાદ રાજેન્દ્ર ત્રિવેદી ખુદ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચ્યા હતા અને અધિકારીઓનો ઉધડો લીધો હતો. મહેસુલ મંત્રીએ માનવતાની ગંભીરતા દાખવીને ઘટના સ્થળે પહોંચીને જાતતપાસ કરી હતી. કચેરીના હાજર સ્ટાફને કડક ચેતવણી પણ આપી હતી.એટલું જ નહીં તેમણે કચેરીમાં હાજર અન્ય અધિકારી-કર્મચારીઓને પણ કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય તેવી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી.અમદાવાદ ખાતે આવેલી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો લાગ્યા હતા. વકીલો પાસે જ સરકારી બાબૂઓ લાંચ માંગી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સરકારી બાબુની લાંચ માંગતી એક ઓડિયો ક્લીપ સામે આવી હતી. કચેરીના અધિકારી દ્વારા 1200 મકાનોની સોસાયટીમાં 1800 દસ્તાવેજ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. એક દસ્તાવેજના 4 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર કે કે શાહ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. 1800 દસ્તાવેજના 4 હજાર પ્રમાણે 72 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે અંગેની ઓડિયો ક્લીપ ફરતી થઈ હતી. ઓડિયો ક્લિપ વકીલ દ્વારા સીધી જ મહેસુલ મંત્રી સુધી પહોંચાડવામાં આવી હતી. જે બાદ ખુદ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચી અધિકારીઑના ક્લાસ લીધા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે આ દુષણ દુર કરવા માટે તમારો સહકાર જોઇશે. મીડીયાના મિત્રો અને નાગરીકોનો આમાં સાથ જરૂરી છે. જ્યાં પણ ફરિયાદ આવશે ત્યાં હું કડક કાર્યવાહી કરવા તૈયાર છું. જે અધિકારીઓ સામે ગઈકાલે ફરિયાદ આવેલી એ તમામને તમામની બદલી ગઈકાલે થઇ ગઈ છે. તમણે કહ્યું કે ‘જે અમદાવાદમાં શાંતિથી હતા તે હવે ગુજરાતના ખૂણે ખૂણે આવી ગયા છે.

