કાગવડમાં આવેલા ખોડલધામ મંદિરે મા ખોડલના દર્શને આવેલા કોંગી નેતા ભરતસિંહ સોલંકી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ વચ્ચે બંધબારણે બેઠક મળી હતી. જે બાદ કોંગી નેતા સોલંકીએ પદ્મશ્રી નરેશ પટેલને આપવો જોઈએ તેવું નિવેદન આપીને ગ્રામપંચાયતોની ચૂંટણી પહેલા જ પાટીદારોને કોંગ્રેસ તરફ કરવા માટે પ્રયાસો હાથ ધર્યાં છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ડિસેમ્બર માસના અંતમાં રાજ્યમાં આવેલી 10 હજાર કરતા વધારે ગ્રામપંચાયતોની ચૂંટણી આવી રહી છે. ત્યારે પાટીદારોની વોટબેંકને પોતાની તરફ ખેંચવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા વિવિધ પ્રયાસો કરાઈ રહ્યાં છે. કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતાના પદે સુખરામ રાઠવાની વિધિવત જાહેરાત થયા બાદ પક્ષના સિનિયરો અને દિગ્ગજો ગ્રામપંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા માટે મેદાને પડ્યાં છે.

રાજકોટ નજીક આવેલા કાગવડમાં પાટીદારોના આસ્થા સમાન ખોડલધામમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ખોડલ માતાજીના દર્શન કરવા માટે આવ્યાં હતાં. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક થઈ હતી. જે બેઠકમાં કોંગ્રેસના અન્ય આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.
आज कागवड खोडलधाम माताजी के चरणो में नत मस्तक दर्शन किये और खोडलधाम के अध्यक्ष, समाजसेवी श्री नरेशभाई से शुभेच्छा मुलाक़ात की। pic.twitter.com/WKwSL8Ph0a
— Bharat Solanki (@BharatSolankee) December 4, 2021
બંધબારણે બેઠક બાદ કોંગી નેતા ભરતસિંહ સોલંકીએ મા ખોડલના દર્શન કર્યાં હતાં. તે બાદ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરીને કંગના રણૌતને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે તેના કરતા જો સમાજસેવા કરી રહેલા પાટીદાર અગ્રણી નરેશ પટેલને આપવો જોઈતો હતો નરેશ પટેલ તેના હકદાર છે. કોંગ્રેસ પાટીદાર સમાજને આગળ રાખીને ચાલશે. આગામી 2022ની ચૂંટણી જો કોંગ્રેસ જીતશે તો પ્રદેશ કમિટીમાં પાટીદારોને સ્થાન અપાશે. પાટીદાર સમાજ સમજુ અને હોશિયાર છે તેવુ નિવેદન આપ્યું છે.

આ નિવેદન બાદ જ સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતુ તે સમયે નરેશ પટેલ દ્વારા પાટીદાર સમાજનો જ મુખ્યમંત્રી હોવું જોઈએ તેવું નિવેદન આપ્યું હતું. તેમજ ક્લાર્કથી સંસદ સુધી તમામ જગ્યાઓ ઉપર પાટીદાર હોવા જોઈએ તેવું પણ નિવેદન આપ્યું હતું. ત્યારે હવે પાટીદાર સમાજ કોને મત આપશે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોને જીતાડશે તેના ઉપર રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

