ઊનાના નવાબંદરમાં દરિયા કિનારે ભારે પવન સાથે તોફાન સર્જાતા 15 બોટ સહિત 8 જેટલા માછીમાર લાપતા થયા હતા. ગત રાત્રીના એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારબાદમાં એનડીઆરએફની ટીમે બોટ મારફતે રેસ્ક્યુ હાથ ધરતાં રામુભાઈ જીવાભાઈ બાંભણિયા, નરશીભાઈ જીવાભાઈ ચૌહાણ, કલ્પેશભાઈ રાણાભાઈ સોલંકી, સાગર જીતુભાઈ રાઠોડના મૃતદેહ મળી આવતા એમના પરિવારોમાં રોક્કળ મચી જવા પામી છે. જોકે હજુ 5 માછીમારનો પતો લાગ્યો નથી.
આ ઉપરાંત હાલ 10 ડુબેલી બોટોને પણ કિનારે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, કુલ 42 જેટલી બોટને નુકસાન થયું છે. અલબત, આ બધી બોટોને કિનારે કેમ પહોંચાડવી તે સમસ્યા પણ ઉભી થઈ છે. તોફાન બાદની સ્થિતીનો તાગ મેળવવા સાંસદ રાજેશ ચુડાસમાં સહિત માછીમાર મંડળના પ્રતિનીધીઓ સાથે બંદરે પહોંચ્યા હતા અને રજૂઆતો સાંભળી મદદ કરવાની ખાતરી આપી હતી. મૃતક પરીવારોના ઘરોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમુદ્રમાં અચાનક આવેલા તોફાનથી માછીમારોના મોત થયા છે . અને નવાબંદર , માણેકપુર , ખડા સહિત ચાર ગામોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, જે પરિવારના સભ્યોએ કમાવનાર મોભીને ગુમાવ્યા હોય તેમને સરકાર દ્વારા આર્થિક સહાય મળે તેવી માંગ ઉઠવા પામી છે.

