ઓમિક્રોનની દહેશત વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિદેશથી આવતા પ્રવાસીઓની ટ્રેસીગ કરવા કહ્યું છે. રિસ્કવાળા દેશોથી આવનારા મુસાફરોની પહેલા દિવસે આરટી-પીસીઆર તપાસ સુનિશ્ચિત કરવામાં આવે. આઠમા દિવસે ફરીથી તપાસ કરવા આદેશ અપાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને મહામારીને લઈ જરાય ઢીલાશ ન વર્તવાનું અને બહારથી આવનારા મુસાફરોનું કડક નિરીક્ષણ કરવાની સલાહ આપી છે.
નવા નિયમો મુજબ આરટી-પીસીઆર તપાસ જોખમવાળા દેશોથી આવતા મુસાફરો માટે જરૂરી છે અને તપાસનું રિઝલ્ટ આવે ત્યારબાદ જ એરપોર્ટથી બહાર નીકળવાની પરમિશન અપાશે. આ ઉપરાંત અન્ય દેશોથી આવતા મુસાફરોમાંથી પાંચ ટકાની કોવિડ-19 તપાસ કરવામાં આવશે. પોઝિટિવ પરિણામને જીનોમ સીક્વેસિંગ માટે ઈન્સાકોગ પ્રયોગશાળા મોકલવા જણાવ્યું છે. તંત્રએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે નવા નિયમો લાગૂ કરવા માટે કમર કસી છે. ડીજીસીએ દ્વારા 29 નવેમ્બરની તારીખે બહાર પડાયેલા પત્રમાં કહેવાયું છે કે દરેક એરપોર્ટ પર જોખમવાળા દેશોથી આવતા મુસાફરો માટે એક અલગ સ્થાન નક્કી કરવામાં આવી શકે છે.

દક્ષિણ આફ્રિકા સહિત અન્ય હાઈ રિસ્કવાળા દેશોથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 મુસાફરો કોરોના વાયરસ સંક્રમિત મળ્યા છે.નાઈજીરિયાથી પહોંચેલા બે મુસાફરો પુણે નીજક પિંપરી-ચિંચવાડ નિગમ ક્ષેત્રમાં મળી આવ્યા છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ તેમના સંપર્કમાં આવેલા લોકોની ભાળ મેળવવાની કવાયત ચાલુ છે.

