નવી દિલ્હી, સોમવાર
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં એક વર્ષથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના બે દિવસમાં સમાપ્ત થવાની શક્યતા છે. સોમવારે સિંઘુ બોર્ડર પર પંજાબના 32 ખેડૂત સંગઠનોની બેઠક યોજાઈ હતી. તેમાં ઘરવાપસી માટે સંમતિ બનીછે. જો કે આખરી નિર્ણય 1 ડિસેમ્બરે થશે.
નિર્ણય લેવા માટે બનાવવામાં આવેલા સંયુક્ત કિસાન મોર્ચાના 42 લોકોની કમિટીની ઈમરજન્સી મીટિંગ પણ હવે 1 ડિસેમ્બરે જ થશે. પહેલા તે 4 ડિસેમ્બરે યોજાવાની હતી. પંજાબના કિસાન નેતા હરમીત કાદિયાંએ કહ્યુ છે કે અમે જીત મેળી લીધી છે. હવે અમારી પાસે કોઈ બહાનું નથી. ઘરવાપસી પર સંયુક્ત કિસાન મોરચાની મ્હોર લાગવાની બાકી છે.
કાદિયાંએ કહ્યુ છે કે લોકસભા અને રાજ્યસભામા કૃષિ કાયદાઓ પાછા લેવામાં આવ્યા છે. પરાલી અને વીજળી એક્ટથી ખેડૂતોને બહાર રાખવામાં આવ્યા છે. અમારી જીત પુરી થઈ ગઈ છે. જે માગણીઓને લઈને અમે આવ્યા હતા, તેના પર નિર્ણય થઈ ચુક્યો છે. એમએસપી પર સરકારે કમિટી બનાવવાની વાત કહી છે. તેના માટે કેન્દ્ર સરકારે એક દિવસનો સમય આપ્યો છે. તેમાં ખેડૂતોના પ્રતિનિધિઓ લેવામાં આવશે કે નહીં અને તે કેટલા સમયમાં નિર્ણય આપશે? તે બાબતો પર બધુ સ્પષ્ટ થવું જોઈએ.
ખેડૂત નેતાએ કહ્યુ છે કે પહેલા અમારી માગણીઓ પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયૂષ ગોયલે ઘોષણા કરી હતી. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં આની ઘોષણા કરી દે. અમે શહીદ ખેડૂતોને વળતર આપવાની માગણી પણ કરી રહ્યા છીએ. ચંદીગઢ,દિલ્હી, હરિયાણા અને અન્ય સ્થાનો પર ખેડૂતો પર નોંધવામાં આવેલા કેસ પાછા કેંચવા જોઈએ. સરકાર સંપૂર્ણપણે ઝુકી છે અને અમારી માગણીઓ પર આગળ વધી રહી છે.
દોઆબાના ખેડૂત નેતા મુકેશે કહ્યુ છે કે અમે જંગ જીતી ચુક્યા છીએ. પહેલા દિવસે સરકાર સંસદમાં શ્રદ્ધાંજલિ આપીને કાર્યવાહી સમાપ્ત કરી દેતી હતી. આ વખતે સરકારે ઝડપથી બિલ રદ્દ કર્યા. સરકારનું વલણ જોતા અમે એક ડિસેમ્બરે જ બેઠક બોલાવી લીધી છે. પહેલા પણ અમે 32 સંગઠન પ્રસ્તાવ બનાવતા હતા અને એસકેએમમાં મંજૂર કરાવતા હતા. સરકારનું વલણ જોતા અમને આશા છે કે મંગળવારે બાકીની માગણીઓ પર પણ એલાન થઈ જશે. કિસાન નેતા જંગવીરસિંહે કહ્યુ છે કે અમે જીતને જીત જ કહીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયોનું સ્વાગત કરીએ છીએ।
પંજાબમાં ખેડૂત સંગઠનો ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા ધરણાંને હટાવવા માટે પણ તૈયાર થઈ ગયા છે. તેના સિવાય અહીં રેલીઓ કરી રહેલા નેતાઓનો વિરોધ પણ બંધ થઈ શકે છે. પંજાબમાં કોર્પોરેટ ગ્રુપોની સંસ્થાઓની બહાર લગાવવામાં આવેલા ધરણાં અથવા તેમને ખોલવાનો વિરોધ પણ છોડવાની તૈયારી છે. આને લઈને પણ પ્રસ્તાવ તૈયાર થઈ ચુક્યો છે. જો કે એસકેએમની મ્હોર પહેલા નેતા આના સંદર્ભે કંઈ કહી રહ્યા નથી. પંજાબના સંગઠનોનો નિર્ણય એટલા માટે મહત્વનો છે, કારણ કે આંદોલનની શરૂઆત તેમણે જ પંજાબથી કરી હતી.

