નવી દિલ્હી, સોમવાર
ભારત સાથે સીમા વિવાદ અને અમેરિકાને યુદ્ધની ધમકી આપી ચુકેલા ચીને હવે પોતાની સૈન્યશક્તિને વધારી દીધી છે. એક રિપોર્ટ પ્રમાણે, ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે સશસ્ત્ર સેનાઓના ઝડપી આધુનિકીકરણ અને ભવિષ્યના યુદ્ધને જીતવા માટે નવી ભરતીને જરૂરી ગણાવી છે. જણાવવામાં આવે છે કે પીપલ્સ લિબરેશન આર્મીમાં વધુ ત્રણ લાખ સૈનિકોની ભરતી કરવામાં આવશે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી મોટી સેના ગણાય છે.
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે શુક્રવારથી રવિવાર સુધી ચાલેલા સૈન્ય પ્રતિભા સંબંધિત કાર્યો પર એક સંમેલન દરમિયાન કહ્યુ હતુ કે ભવિષ્યની લડાઈઓ જીતવા માટે ચીને વધુ નવી પ્રતિભાઓની જરૂરત છે. તેની સાથે સશસ્ત્ર દળોના આધુનિકીકરણની પણ જરૂરત છે. તેમણે કહ્યુ છે કે 209 અબજ અમેરિકી ડોલરના વાર્ષિક સૈન્ય બજેટ સાથે ચીનની સેના ઝડપથી આધુનિકીકરણ કરી રહી છે અને સંગઠનાત્મક સુધારા કરી રહી છે. આ સિવાય હાઈપરસોનિક શસ્ત્રો સહીત નવી હથિયાર પ્રણાલીને પોતાના ખેમામાં સામેલ કરી રહી છે.
સરકારી ન્યૂઝ એજન્સી સિન્હુઆના રિપોર્ટ પ્રમાણે, શી જિનપિંગે કહ્યુ છે કે 2027માં પીપલ્સ લિબરેશન આર્મીના શતાબ્દિ વર્ષ પહેલા નિર્ધારીત લક્ષ્યોને પૂર્ણ કરવા માટે દેશને નવી પ્રતિભાઓની જરૂરત છે. શી જિનપિંગે કહ્યુ છે કે લડવા અને જીતવાની ક્ષમતાઓને મજબૂત કરવા સેનાનું પહેલું અને આખરી લક્ષ્ય હોવું જોઈએ. તેમણે સૈન્યકર્મીઓની આધુનિક યુદ્ધ જીતવાની તેમની ક્ષમતામાં સુધારા માટે તકનીકી જાણકારીમાં સુધારાની હાકલ કરી છે. તેમણે પ્રથમ શ્રેણીની સૈન્ય સ્કૂલોના નિર્માણ અને પ્રથમ શ્રેણીના સૈન્યકર્મીઓના પ્રશિક્ષણમાં ઝડપ લાવવાની વાત પણ કહી છે.
હોંગકોંગ ખાતેના સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે સોમવારે જણાવ્યું છે કે ચીનની સેનાએ પીએલએમાં ત્રણ લાખ સૈનિકોને સામેલ કરવા માટે યુવાઓને ઘણાં સંસાધનોની લાલચ આપી છે. મહત્વપૂર્ણ છે કે 2012માં સત્તા સંભાળ્યા બાદથી શી જિનપિંગે સેનામાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા છે. જેમા પીએલએની સંખ્યા 23 લાખથી ઘટાડીને 20 લાખ સૈનિકોની કરવામાં આવી છે. ત્રણ લાખ સૈન્યકર્મીઓને બિનલડાકૂ એકમોમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે કહ્યું છે કે પીએલએ હવાઈ ટુકડીના એકમોના ડિવિઝન સ્તરથી બ્રિગેડમાં અપગ્રેડ કરવામાં આવી હતી. જ્યારે નવી પેઢીના યુદ્ધવિમાનો જેવા કે જે-20, જે-16 એસ, જે-10 સી ચલાવનારા પાયલટોની સંખ્યા પણ વધારવામાં આવી હતી. સૈન્ય સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચીનની નૌસેનાએ પોતાની સમુદ્રી સુરક્ષાને વધારવા માટે ઘણાં પરિવર્તનો કર્યા છે. તેના સિવાય પીએલએએ પોતાની મરીન કોર્પ્સને લગભગ 20 હજાર સૈન્યકર્મીઓથી વધારીને એક લાખ કરવાની યોજના બનાવી છે. જેનાથી બ્રિગેડની સંખ્યા બેથી વધીને 10 થઈ ગઈ છે. કેટલાક સૈનિકોને આ પોર્ટો પર તહેનાત કરવામાં આવશે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનું લક્ષ્ય 2027 સુધી પીએલએના શતાબ્દિ વર્ષ પહેલા એક આધુનિક યુદ્ધદળ અને 2050 સુધી સંયુક્ત રાજ્ય અમેરિકા સમાન એક વૈશ્વિક સ્તરની સેનામાં બદલવાનું છે.

