રાજ્યના કૃષિકારો ખેતી અને બાગાયતી પાકોમાંથી મહત્તમ આવક મેળવીને આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાંત્રીકરણને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલના આધુનિક યુગમાં ખેતર પરના વિવિધ કાર્યો માટે પૂરતા પ્રમાણમાં ખેત મજૂરો મળતા ઓછા થયા છે, જેના કારણે ખેતીના સમયસર થતા કાર્યો પર વ્યાપક અસર પડે છે. જગતના તાતને આધુનિક ટેકનોલોજી તરફ વાળવા માટે મોરબી જિલ્લામાં સરકારશ્રીની ‘કૃષિ યાંત્રીકરણ અંતર્ગત મીની ટ્રેક્ટર અને સાધનોમાં સહાય’ યોજના ક્રાંતિકારી સાબિત થઈ રહી છે.
મોરબી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત ખાતેદાર હોવાથી તેમની પાસે જમીન ધારકતા ઓછી છે. આર્થિક મર્યાદાઓના કારણે આ ખેડૂતો મોંઘા મશીનો ખરીદી શકતા ન હોવાથી કાં તો મોંઘા ભાડે સાધનો લાવવા પડતા અથવા મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.ત્યારે ખેડૂતોની માટે વર્ષ 2025-26 અન્વયે મોરબી જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આ કલ્યાણકારી યોજના હેઠળ રૂ. 228.12 લાખની માતબર રકમ મંજૂર કરીને જિલ્લાના કુલ 251 પ્રગતિશીલ ખેડૂતોને આધુનિક સાધનોની આપવામાં આવ્યા છે. આ સહાય અંતર્ગત જિલ્લામાં 251 મીની ટ્રેક્ટર, 173 કલ્ટીવેટર, 78 રોટાવેટર અને ખેતીવાડીની ઉપજના પરિવહન માટે 1 મીની ટ્રેલર મળીને વ્યાપક પ્રમાણમાં આધુનિક કૃષિ યંત્રો ફાળવવામાં આવ્યા છે.
સરકારના આ પ્રોત્સાહક પગલાંથી ખેડૂતો હવે નિયત સમયમર્યાદામાં ખેડ, વાવણી તેમજ લણણી જેવા મહત્વના કાર્યો ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉનાળુ ઋતુમાં પાક માટે પાણીના પરિવહન અર્થે પણ આ સાધનો ખૂબ જ ઉપયોગી છે. રાજ્ય સરકારના આ પ્રજાભિમુખ નિર્ણયથી મોરબી જિલ્લાના ખેડૂતોનું આર્થિક જીવનધોરણ આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય યુવાનો માટે પૂરક રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે. આધુનિક કૃષિ ક્રાંતિ તરફ આગળ વધી રહેલો મોરબીનો ખેડૂત હવે સક્ષમ અને આત્મનિર્ભર બની રહ્યો છે.

