અમદાવાદ, રવિવાર
બંધારણ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગઠીત ટીમ દ્વારા કર્મચારીઓ, અધિકારીઓ, શિક્ષકો માટે એનપીએસના બદલે જૂની પેન્શન યોજના લાગું કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોરબંદર જિલ્લાના તમામ કેડર, ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રજૂઆત કરી હતી કે, શેરબજાર આધારીત નવી વર્ધીત પૅન્શન યોજનાના સ્થાને જુની પૅન્શન યોજના લાગું કરો, ફિક્સ પગારની નીતિ તત્કાલ બંધ કરી, સુપ્રિમ કોર્ટમાં છેલ્લા 10 વર્ષથી ચાલતો ફિક્સ પગારનો કેસ પરત ખેંચી અત્યાર સુધીના તમામ લાભો આપવામાં આવે તેમજ સાતમા પગાર પંચ લાગું થયે 6 વર્ષ જેટલો સમય થયો હોય, કેંન્દ્રના ધોરણે તાત્કાલીક તમામ ભથ્થાઓની અમલવારી શરૂ કરવામા આવે.
વધુમાં કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ગ 1 થીના કર્મચારીઓ માટે કેંન્દ્રના ધોરણે નવી વર્ધીત પૅન્શન યોજના ફરજીયાત પણે લાગું કરવાનો નિર્ણય લિધેલ છે. નવી વર્ધીત પૅન્શન યોજના અત્યંત અસ્થિર, અસુરક્ષિત અને શેરબજાર આધારીત યોજના હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. તાજેતરમાં જ વયનિવૃત્ત કે અવસાન પામેલા કર્મચારીઓના વારસદારોને 2000થી પણ ઓછું એવું નજીવું પૅન્શન બંધાઇ રહ્યું છે, જેના લિધે વૃદ્ધાવસ્થામાં જીવન નિર્વાહ ચલાવવો ખૂબ જ કપરો હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. આથી નવી વર્ધીત પેન્શન સ્કીમને બંધ કરી જૂની પેન્શન યોજના અમલી કરે તેવી માંગ કરી છે. (તસવીર પ્રતિકાત્મક છે)

