દિવાળીના વેકેશન શરૂ થઈ ચૂક્યું છે. લાંબા સમય સુધી ફરવા નહીં જઈ શકેલા ગુજરાતીઓ-અમદાવાદી પરિવારો ફરવા નીકળી પડ્યા છે. તો કેટલાક ફરવા જવાની તૈયારીઓ કરી રહ્યા છે. પરિવાર સ્વજનો અને મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી દીધું છે. જેના કારણે ટૂર ઓપરેટરોને રાહત થઇ છે. એક મંદીમાંથી બહાર આવ્યા છે. અમદાવાદીઓએ ગુજરાતમાં ફરવાના સ્થળો પર ફોકસ કરી ત્યાં જવા માટેના બુકિંગ કરાવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી જતા પરિવારોની પહેલી પસંદ નાથદ્વારા, ઉદયપુર અને રાજસ્થાનના શહેરો રહ્યા છે. તો કેટલાક એવા પણ પરિવાર છે જેની પહેલી પસંદ એવા ગોવા છે.

હવે જમ્મુ-કાશ્મીર અને લેહ લદ્દાખ પણ લાંબા સમય બાદ લોકો ફરવા જઈ રહ્યા છે. દુબઈ, માલદીવ અને શ્રીલંકા પણ ખુલી જતા વિદેશ ફરવા જતા લોકોએ ત્યાં જવાનું પણ બુકિંગ કરાવી લીધું છે. પણ હાલમાં લોકો ભારતમાં ફરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અમદાવાદના ટૂર ઓપરેટર રમેશ રાઠોડના જણાવ્યા મુજબ ઘણા લાંબા સમય સુધી ગ્રાહકો કે ઇન્ક્વાયરી ન મળતા ટૂર ઓપરેટરો નિરાશ થઇ ગયા હતા. કોરોના કાબૂમાં દિવાળી ટાણે આવી જતા પ્રવાસન સ્થળો પર તમામ લોકોની એન્ટ્રી ખોલી દેવામાં આવી છે. એક લાંબા સમય સુધી બંધ રહેલી ફરવાની શોખીન પ્રજા હવે બહાર નીકળી રહી છે. ખાસ તો જે લોકો પાસે પોતાનું વાહન તેઓ શુક્રવાર રાતથી ફરવા માટે નીકળી ગયા છે.

સૌરાષ્ટ્રવાસીઓની પહેલી પસંદ રાજસ્થાનમાં જયપુર, ઉદયપુર, કુંભલગઢ, જેસલમેર, જોધપુર, નાથદ્વારા, રણથંભોર રહ્યા છે. આ માટેના બુકિંગ પણ આવી રહ્યા છે. ઓલ ટાઈમ ફેવરિટ ગોવા માટે પણ લોકોની સારી એવી ઇન્ક્વાયરી અને બુકિંગ મળી રહ્યા છે. ગોવાની હોટલો અત્યારે જ ફુલ થવા લાગી છે.

ટૂર ઓપરેટર એસોસિયેશનના અગ્રણી જીગર દુદકીયાના જણાવ્યા મુજબ ગુજરાતના પ્રવાસન સ્થળો તેમજ ભારતના પ્રવાસન સ્થળો માટે સારું એવું બુકિંગ મળ્યું છે. દર વર્ષે વિદેશની ટૂર માણતા ઘણાં પ્રવાસીઓ લાંબા સમયથી બહાર ફરવા જઈ શક્યા નથી. હવે દુબઈ માલદીવ અને શ્રીલંકા જેવા ડેસ્ટિનેશન પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાતા ત્યાં જવા માટેનું પણ બુકિંગ મળી રહ્યું છે.

