જાણીતા લેખક, મોટીવેશનલ સ્પીકર જય વસાવડાના પિતા લલિતભાઈ વસાવડાનું ગઈકાલ શરદ પુનમની રાત્રે 11-30 કલાકે 85 વર્ષની વયે રાજકોટમાં નિવાસસ્થાને નિધન થયું છે. પત્રકાર જગત, સાહિત્ય જગતમાં શોક છવાઈ જવા પામ્યો છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. સવારે છ વાગે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. મોટામવા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સમયે જયભાઈ તથા તેમના મામી હાજર રહ્યાં હતાં.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
બે દિવસ પૂર્વે છ કલાક વીજળી ચાલી જતાં ઓક્સિજન પર રહેલા લલિતભાઈને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી હતી. ડૉ. ચિરાગ માત્રાવડીયા તેમની સારવાર કરતાં હતાં. પરંતુ સારવાર કારગત ન નીવડી. અંતિમ શ્વાસ લીધા ત્યારે તેમણે જયભાઈનો હાથ પકડી રાખ્યો હતો. ડૉ. ચિરાગ માત્રાવડીયાને બોલાવવામાં આવ્યા અને જણાવ્યું કે લલીતભાઈ હવે આપણી વચ્ચે રહ્યાં નથી.
વર્ષ 2002ની સાલમાં જયભાઈના માતુશ્રીનું 58 વર્ષની વયે નિધન થયું હતું. ગઇકાલે લલિતભાઈનું 85 વર્ષની વયે નિધન થતાં પરિવારમાં શોક છવાયો છે. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે જયભાઈનું નામ જાણીતું છે છતાં પિતાની સેવામાં ક્યારેય પાછીપાની કરી નથી. તેઓ અવારનવાર સોશ્યલ મીડિયામાં પિતા વિષે જણાવતા હતા.
લલિતભાઈનો જન્મ બગસરામાં થયો હતો. તેઓ મૂળ જૂનાગઢના હતા. જ્યારે જય વસાવડાનો જન્મ ભાવનગરમાં થયો હતો. જયભાઈ એક વર્ષના થયા ત્યારે પરિવાર ગોંડલ આવીને વસ્યો હતો. તેઓ ગોંડલમાં ગુજરાતી ભાષાના પ્રોફેસર તરીકે કાર્યરત હતા. જયભાઈને આટલી મોટી સિદ્ધી મળી એ પાછળ માતા પિતાની ભૂમિકા અગ્રેસર રહી છે. જ્યારે પિતા ઘેર આવતાં ત્યારે એક પુસ્તક લઇને આવતાં. આથી ઘરમાં વિશાળ લાયબ્રેરી બની ગઇ છે. લલિતભાઈ નિબંધન સ્પર્ધામાં વિજેતા થયા હતા ત્યારે પં. જવાહરલાલ નહેરુના હસ્તે સુવર્ણચંદ્રક મળેલું હતું. અત્યંત સૌમ્ય, ચિંતનશીલ, સાહિત્યપ્રેમી સ્વભાવ ધરાવતા લલિતભાઇ જૂનાગઢના કવિ મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ સહિતના કવિઓ સાથે ગાઢ ઘરોબો ધરાવતા હતા.