હાલ દેવી દુર્ગાની નવરાત્રિ ચાલી રહી છે, આ પર્વ તા. 14 ઓક્ટોબર સુધી ઊજવાશે. આ પર્વનો બોધપાઠ એ છે કે દરેક સ્થિતિમાં મહિલાઓનું સન્માન કરવું જોઈએ. દુર્ગા માતાને સર્વ શક્તિશાળી મનાય આવે છે. પ્રાચીન સમયમાં મહિષાસુરનો સંહાર શિવજી અને વિષ્ણુજી પણ કરી શક્યા નહીં, ત્યારે દેવી દુર્ગા પ્રગટ થયાં અને તેમણે મહિષાસુરનો સર્વનાશ કર્યો હતો.
એક વર્ષમાં ચાર નવરાત્રિઓ આવે છે. આ દરમિયાન એક ઋતુ શરૂ થાય છે જ્યારે બીજી પૂરી થવાના આરે હોય છે. ચૈત્ર અને આસો સિવાય અષાઢમાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. નોરતાના દિવસોમાં પૂજા-પાઠ કરીને ખાન-પાનને લગતી સાવધાનીઓ રાખવાથી સીઝનલ બીમારીઓથી બચી શકીએ છીએ.તેથી નોરતાના દિવસોમાં ઉપવાસ કરવામાં આવે છે. અન્નનો ત્યાગ કરવાથી અપચાની સમસ્યા થતી નથી. ફળાહાર કરવાથી શરીરને જરૂરી ઊર્જા મળે છે.
નાની કન્યાઓને દેવીનું રૂપ મનાય છે. 2થી 10 વર્ષની કન્યાઓને નવરાત્રિમાં ભોજન કરાવવામાં આવે છે. ઘણા લોકો નોરતામાં બાળાનું પૂજન કરી પુન્ય કમાય છે.
ઉંમર અનુસાર દેવીના જુદા જુદા નામ અને રૂપ
2 વર્ષની કન્યાઓને કુમારિકા. 3 વર્ષની ત્રિમૂર્તિ, 4 વર્ષની કલ્યાણી, 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કાલિકા, 7 વર્ષની ચંડિકા,8 વર્ષની સાંભવી, 9 વર્ષની દુર્ગા 10 વર્ષની કન્યા સુભદ્રા કહેવામાં આવે છે.