શનિવારે ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે મોદી સરકારનો ઉલ્લેખ કરીને હિન્દુઓના સન્માનની વાત કહી દીધી છે. તેમણ કહ્યું હતું કે ઘણા વર્ષોથી હિન્દુ સમુદાયના આસ્થાના કેન્દ્રોને અપમાનિત કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર વર્ષ 2014 માં સત્તા પર આવી. ત્યાં સુધી કોઈએ હિન્દુ ગૌરવ પુનઃસ્થાપિત કરવાની ચિંતા કરી ન હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, હવે મોદી સરકાર આવી જગ્યાઓના નવીનીકરણ માટે ‘નીડરતાથી’ કામ કરી રહી છે. પહેલા લોકો મંદિરોમાં જતા શરમાતા હતા. પરંતુ મોદી સરકાર સાથે એક નવો યુગ શરૂ થયો છે. અમદાવાદમાં અમિત શાહ કડવા પાટીદાર સંપ્રદાયની દેવી ‘મા ઉમિયા’ને સમર્પિત ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં સંબોધન કરતા હતા ત્યારે તેમણે આ વાત કહી હતી. આ મંદિર અને અન્ય ઈમારતો રૂ.1500 કરોડના ખર્ચે 74 હજાર ચોરસ યાર્ડ જમીન પર તૈયાર થઈ રહી છે. સભાને સંબોધતા, તેમણે કહ્યું, જ્યાં સુધી કેન્દ્રમાં સંપૂર્ણ બહુમતી સાથે મોદી સરકાર સત્તામાં ન આવી ત્યાં સુધી કોઈએ ગૌરવ પુનઃસ્થાપિત કરવાની પહેલ કરી ન હતી. જ્યારે આર્યસમાજી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તરફથી આ ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવા પ્રસંગે હું કહેવા માંગુ છું કે મોદીજીએ આપણી આસ્થાના વિસરાયેલા કેન્દ્રોની પુનઃસ્થાપન માટે કોઈ પ્રકારના ડર વગર કામ કર્યું છે. વિશ્વાસ, આદર સાથે કામ કર્યું. વડાપ્રધાને આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વર્ષ 2013ના અચાનક પૂરથી નાશ થયેલા કેદારનાથ મંદિર વિસ્તારમાં કરોડો હિન્દુઓના આસ્થા કેન્દ્રને ફરી જીવીત કર્યું છે. આપણે કાશી વિશ્વનાથ મંદિરની જીર્ણોદ્ધાર જોઈશું, જે મંદિર ઔરંગઝેબના સમયમાં તોડી નાંખવામાં આવ્યું હતું. તા. 13મી ડીસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે વધુ એક પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે. મંદિરો માત્ર ધાર્મિક આસ્થાના કેન્દ્રો જ નથી રહ્યા, પરંતુ તેઓ જીવનથી નિરાશ થયેલા લોકો માટે તેમની મુશ્કેલીઓ દૂર કરવા, આગળ વધવા માટે સામાજિક સેવા અને ઊર્જાના કેન્દ્રો પણ છે.

આ પ્રસંગે ભાજપ અગ્રણીએ પાટીદાર સમાજના વખાણ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશના ઉત્થાનનો ઈતિહાસ આ સમાજ સાથે જોડાયેલો છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સમાજના પદાધિકારીઓએ ખાસ હાજરી આપી હતી. ત્રણ દિવસીય શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે તમામ રાજકીય તથા સામાજના મહાનુભવોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉપરાંત, તા.13 ડીસેમ્બરે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

