કુન્નૂર, ગુરુવાર
તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે થયેલા ચોપર ક્રેશમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય 11 સૈનિકોના નિધન થયા છે. આજે તેમના પાર્થિવ દેહને દિલ્હી લવાય રહ્યા છે. આના પહેલા આજે નીલગિરિમાં હજારો લોકોએ ભીની આંખો વીર સપૂતોને આખરી વિદાય આપી હતી.
જનરલ રાવત સહીતના અન્ય સૈન્યકર્મીઓના મૃતદેહો જ્યારે મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરથી સુલૂર એરબેઝ પર લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે માર્ગ પર બંને તરફ સેંકડો લોકો ઉભા હતા. તેમણે આ પાર્થિવ દેહોને એરબેઝ તરફ લઈ જઈ રહેલા વાહનો પર પુષ્પવર્ષા કરી અને ભારતમાતા કી જયના સૂત્રો પણ પોકાર્યા હતા.
આ પહેલા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન, રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન અને સૈન્યકર્મીઓ સહીત અન્યોએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સીડીએસ જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. જનરલ રાવત અને અન્યોના પાર્થિવ દેહને બાદમાં સડક માર્ગથી કોયમ્બતૂર લઈ જવાયા, જ્યાંથી તેમને નવી દિલ્હી લઈ જવાય રહ્યા છે. ગુરુવારે સ્ટાલિન, સુંદરરાજન, રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સૈન્યાધિકારીઓ અને અન્યોએ અહીં નજીકના વેલિંગ્ટનમાં મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પાર્થિવ શરીર પર પુષ્પાંજલિ અને પુષ્પચક્ર અર્પિત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો હતો. તિરંગામાં લપેટેલા તાબૂતોને સેનાની ટ્રકો દ્વારા કાર્યક્રમ સ્થાને લાવવામાં આવ્યા હતા.
કાળું મફલર ઓઢીને સ્ટાલિને જનરલ રાવત અને અન્યોને પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને બાદમાં ત્યાં રહેલા સેનાના વરિષ્ઠ અધિકારીઓની સાથે વાતચીત કરી હતી. તેમના મંત્રીમંડળના સહયોગી કે. એન. નેહરુ, એમ.પી. સામીનાથન અને કે. રામચંદ્રન, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ સહીત સેનાના જવાનોએ દિવંગત લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતના પહેલા સીડીએસ જનરલ રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11ના બુધવારે અહીં નજીકમાં થયેલી હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા.

