મધ્ય પ્રદેશ,બુધવાર
મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં 48 કાગડા મૃત હાલતમાં મળી આવ્યા બાદ તેમાં H5N8 વાયરસની હાજરીની પુષ્ટિ થઈ છે . એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. રાજ્યની રાજધાની ભોપાલથી 180 કિમી દૂર આવેલા અગર-માલવામાં છેલ્લા ચાર દિવસમાં કાગડાઓ મૃત્યુ પામ્યા છે.
અગર માલવાના જિલ્લા મેજિસ્ટ્રેટ અવધેશ શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે મૃત કાગડાના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા હતા. આ પરીક્ષણે H5N8 વાયરસ (બર્ડ ફ્લૂ) ની હાજરીની પુષ્ટિ કરી છે.” તેમણે કહ્યું કે અગર માલવા જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં 48 કાગડા અને એક કૂકડો મૃત હાલતમાં મળી આવ્યો છે.
મટનની દુકાનો બંધ કરવા સૂચન
શર્માએ કહ્યું કે, અમે મરઘાંના સેમ્પલ લીધા છે. સંબંધિત વિભાગોના અધિકારીઓને (કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ) માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.” સાવચેતી રૂપે વેચાણ બજારો બંધ કરવા જોઈએ.અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે કાગડાના સામૂહિક મૃત્યુ પછી, નમૂનાઓ ભોપાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ (NIHSAd) ને મોકલવામાં આવ્યા છે.અધિકારીએ જણાવ્યું કે, પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, ડૉ. એસ.વી. કોસરવાલની અધ્યક્ષતામાં જિલ્લા-સ્તરીય કંટ્રોલ રૂમની પણ સ્થાપના કરવામાં આવી છે અને લોકોને પક્ષીઓના મૃત્યુ વિશે તાત્કાલિક જાણ કરવા કહેવામાં આવ્યું છે.
પક્ષીઓના મૃત્યુ અંગે કાર્યવાહી કરવા સૂચના
મધ્યપ્રદેશના પશુપાલન અને ડેરી વિભાગના અધિક મુખ્ય સચિવ જેએન કંસોટિયાએ જિલ્લાઓને, ખાસ કરીને સરહદી વિસ્તારોને પરિસ્થિતિ પર નજર રાખવા અને પક્ષીઓના મૃત્યુ સંબંધિત કોઈપણ ફરિયાદ પર તાત્કાલિક પગલાં લેવા સૂચનાઓ જારી કરી છે.”શિયાળામાં બર્ડ ફ્લૂ ફેલાવવામાં યાયાવર પક્ષીઓ મુખ્ય ભૂમિકા ભજવે છે, તેથી રાજ્યના જળાશયો અને અભ્યારણોમાં આવતા યાયાવર પક્ષીઓ પર ખાસ નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે,” તેમણે અધિકારીઓને અન્ય રાજ્યોની સરહદે આવેલા જિલ્લાઓમાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અને ચિકન માર્કેટના નમૂનાઓ એકત્ર કરવા અને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવા નિર્દેશ આપ્યો છે.

