જમ્મુ,બુધવાર
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આઈજી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર યાસિર પારે અને વિદેશી આતંકવાદી ફુરકાન તરીકે થઈ છે. તેમાંથી યાસિર પારે વિસ્ફોટક બનાવવામાં માહેર હતો. બંને આતંકવાદી ગુનાના અનેક કેસમાં સંડોવાયેલા હતા. રિપોર્ટ અનુસાર, પોલીસને પુલવામાના કસ્બા યાર વિસ્તારમાં બંને આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફએ જે જગ્યાએ આતંકીઓ હતા ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપોરા બસ્તીના કસ્બાયર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક અધિકારીએ કહ્યું કે તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે જ્યાં આતંકીઓ હાજર હતા ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોના આ ઓપરેશનમાં બે આતંકીઓ ફસાયા હતા. તેમણે કહ્યું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળ પર શોધખોળ વધુ તીવ્ર બનાવી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ સતત ગોળીઓ ચલાવી રહ્યા હતા, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં, ગયા મહિને સામાન્ય લોકોની હત્યામાં સામેલ લગભગ તમામ આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા માર્યા ગયા છે. આતંકવાદનો સામનો કરવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને સૈન્ય વચ્ચે વધુ સારા સંકલન માટે વધુ સૂક્ષ્મ ફ્રેમવર્ક હેઠળ “આધુનિક” અભિગમ મૂકવામાં આવ્યો છે. કાશ્મીરમાં સ્થિતિ પ્રમાણમાં શાંત થયા પછી, ગયા મહિને જમ્મુ અને કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યાઓની શ્રેણી શરૂ થઈ, જેનાથી પ્રદેશમાં હિંસા અને અશાંતિનો ભય ઉભો થયો. આ પછી સુરક્ષા દળોએ આતંકવાદીઓને ખતમ કરવાનું શરૂ કર્યું.

