મોરબીની ઐતિહાસિક મચ્છુ જળ હોનારતને યાદ કરી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 11 ઓગસ્ટ 2026ના રોજ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર તમામ લોકોને સામૂહિક રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
સ્મૃતિ રેલીનો પ્રારંભ બપોરે 3:15 કલાકે મોરબી મહાનગરપાલિકાની ગાંધી ચોક ખાતે આવેલી મુખ્ય કચેરીથી થશે. અહીંથી રેલી શાખ માર્કેટ, નગર દરવાજા, પરાબજાર મેઈન રોડ, ત્રિકોણ બાગ થઈ મણીમંદિર ખાતે પહોંચશે. ત્યારબાદ મણીમંદિરના પટાંગણમાં સામૂહિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા રેલીમાં જોડાનારા નાગરિકોને સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. શહેરવાસીઓની સામૂહિક હાજરી દ્વારા મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર સ્વજનોની સ્મૃતિને નમન કરવામાં આવશે અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
મોરબી મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને આ સ્મૃતિ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ મચ્છુ જળ હોનારતના દિવંગતો પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા હાર્દિક અપીલ કરી છે.

