હળવદ તાલુકાના ચરાડવા ગામે ગેરેજ નજીક ઉકરડાનો કચરો ફેલાવવાના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા ગેરેજ સંચાલક યુવક પર પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ચરાડવા ગામે રહેતા દશરથ ભાવસિંગભાઈ પઢીયારે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી મેહુલ નવઘણભાઈ ભરવાડ (રહે. ચરાડવા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી મેહુલભાઈએ ફરિયાદીની ‘મઢુલી ઓટો ગેરેજ’ નામની દુકાન પાસે ઉકરડો કર્યો હતો. બાદમાં ટ્રેક્ટર-લોડરથી ઉકરડો ભરવાની કામગીરી દરમિયાન ગેરેજ નજીક કચરો ફેલાઈ ગયો હતો. આ કચરો હટાવવા બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન મામલો ઉગ્ર બનતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ હાથમાં રહેલા પાવડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
બનાવ અંગે દશરથભાઈ પઢીયારની ફરિયાદના આધારે હળવદ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

