મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલા નાગરતન પ્લાઝામાં મધરાત્રે લિફ્ટ અચાનક બંધ પડી જતાં છ લોકો અંદર ફસાઈ જવાની ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરતાં મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ રાત્રે આશરે 12 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલ રૂમને લિફ્ટમાં લોકો ફસાયા હોવાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ જરૂરી બચાવ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે હોલમેટ્રો સ્પ્રેડર સહિતના વિશેષ રેસ્ક્યૂ સાધનોનો ઉપયોગ કરી લિફ્ટમાં ફસાયેલા સચિનસિંહ વાળા, ક્રિપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યશ પટેલ, અનુજ વ્યાસ અને વિશ્વરાજસિંહ ડોડીયાને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઇજા પહોંચી નહોતી કે જાનહાનિ થઈ નહોતી. ફાયર વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે મોટી અનિચ્છનીય ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

