મોરબી તાલુકાના મારબીજ સિરામિક કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિક દંપતી વચ્ચે ચારિત્ર્ય અંગેની શંકાએ કરુણ અંજામ લીધો છે. પ્રેમલગ્નના માત્ર દોઢ મહિના બાદ જ પતિએ પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વડોદરા નજીક વસવાટ કરતા શિવકુમાર પ્રેમલાલ મરાવીએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામને આરોપી તરીકે નામજોગ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, રેખા ઉર્ફે રીયા અને મહેન્દ્રસિંહે પરસ્પર સંમતિથી પ્રેમલગ્ન કર્યા હતા અને છેલ્લા દોઢ મહિનાથી મારબીજ સિરામિક કારખાનામાં પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. દરમિયાન આરોપીને કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના યુવાન સાથે રેખાબેનના સંબંધ હોવાની શંકા હતી. આ શંકાને લઈને બંને વચ્ચે વારંવાર મતભેદ સર્જાતા હતા.
આખરે આરોપી આવેશમાં આવી ગયો હતો અને રેખાબેન પર હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ મોટા પથ્થર વડે તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેમજ ગળું દબાવી તેની હત્યા કરી હતી. આ બનાવ અંગેની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

