મોરબી શહેર એ-ડિવિઝન પોલીસે લાંબા સમયથી ફરાર રહેલા એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે ખોટા દસ્તાવેજો બનાવી ખેડૂત તરીકે ખોટી ઓળખ ઉભી કરવાનો તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવણીનો આરોપ છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ભક્તિનગર સર્કલ નજીક રાફડાની વાડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ તળશીભાઈ ચાવડાની ફરિયાદના આધારે નોંધાયેલા ગુનામાં આરોપીએ અન્ય સાથીદારો સાથે મળી બનાવટી આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ વારસાઈ સંબંધિત દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોના આધારે ખેડૂત ખાતેદાર તરીકે ખોટી ઓળખ રજૂ કરી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ કેસમાં આરોપી દર્શીતભાઈ પ્રવીણભાઈ મેવાડા (ઉંમર 30), રહે. શનાળા રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગરબી ચોક, મોરબી અને મૂળ વતન હરિપર, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર, છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો. આ ઉપરાંત આરોપી મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના એક અન્ય ગુનામાં પણ છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો. પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી બંને ગુનાઓમાં કાયદેસરની કાર્યવાહી કરી છે.

