મોરબી કલેક્ટર સ્વપ્નીલ ખરે એ તાજેતરમાં રવિરાજ ચોકડી પાસેના એ.જે. મિનરલ કારખાનાની મુલાકાત લીધી હતી. તેમણે કારખાનેદાર પાસેથી રોયલ્ટીની વિગતો અને સ્ટોકની માહિતી માંગી હતી. આ ઘટનાને પગલે મિનરલ્સના કારખાનેદારોમાં નારાજગી વ્યાપી હતી અને તેમણે તાત્કાલિક તેમના કારખાના બંધ કરી દીધા હતા, જેના કારણે મિનરલ્સનું પરિવહન પણ ઠપ્પ થઈ ગયું હતું.
મોરબી મિનરલ્સ એસોસિએશન અને મોરબી સિરામિક એસોસિએશનની આગેવાની હેઠળ તમામ કારખાનેદારો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે લેખિતમાં રજૂઆત કરી હતી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતું મોટાભાગનું ખનીજ રાજસ્થાનથી આવે છે. અહીંના મિનરલ્સના કારખાનેદારો આ કાચા માલ પર પ્રક્રિયા કરીને પાવડર બનાવે છે, જેનો ઉપયોગ ટાઇલ્સના ઉત્પાદનમાં થાય છે. મોરબી આસપાસના વિસ્તારમાં 600 જેટલા સિરામિક કારખાના કાર્યરત છે. રાજસ્થાનથી આવતો કાચો માલ ઈ-બિલ અને જીએસટીના આધારે તેમને મળે છે અને તેના માટે કોઈ રોયલ્ટી પાસ આવતા નથી. કલેક્ટરે તેમની વાત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ સાથે તેમણે મોરબીના મિનરલ્સના ધંધાર્થીઓને તેમના સ્ટોક રજીસ્ટર જાળવવા માટે પણ સૂચના આપી હતી.

