મોરબી-રાજકોટ હાઈવે રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં રહેતા રવિભાઈ રતાભાઈ ગોગીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં રંગપર ગામના કાળુ મુળુભાઈ જાદવ, દિલીપભાઈ મુળુભાઈ જાદવ, રવિભાઈ મુળુભાઈ જાદવ, મયુર ઉર્ફે મહેશભાઈ મુળુભાઈ જાદવ તથા નરેશભાઈ જીવાભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ રવિભાઈ રંગપર ગામે યોજાયેલા સમૂહ લગ્ન પ્રસંગે હાજર હતા, ત્યારે આરોપીઓએ જૂની અદાવત રાખી હુમલો કર્યો હતો. ફરિયાદીએ આરોપીઓની બહેન સાથે અંદાજે સાત વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હોવાથી આરોપીઓ મનદુઃખ રાખતા હતા. આ રોષના કારણે આરોપીઓએ લાકડાના ધોકા અને ઢીકાપાટુ વડે હુમલો કરી ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા દરમિયાન માથાના ભાગે ઇજા થવા સાથે પગમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ભાગી ગયા હોવાનું તેમજ બાદમાં ફરી આવી વધુ નુકસાન પહોંચાડવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

